પંજાબ/ હરિયાણાના હિસારમાં લોહિયાળ અથડામણ, પોલીસે છોડ્યા ટીયર ગેસના સેલ, પરિસ્થિતિ નિયંત્રણ બહાર

એમએસપી ગેરંટીની માંગને લઈને પંજાબ-હરિયાણાના ખેડૂતોનું આંદોલન ચાલુ છે. દરમિયાન, શુક્રવારે હરિયાણાના હિસારમાં ખેડૂતોના પ્રદર્શન દરમિયાન પરિસ્થિતિ નિયંત્રણ બહાર ગઈ હતી

Top Stories India

એમએસપી ગેરંટીની માંગને લઈને પંજાબ-હરિયાણાના ખેડૂતોનું આંદોલન ચાલુ છે. દરમિયાન, શુક્રવારે હરિયાણાના હિસારમાં ખેડૂતોના પ્રદર્શન દરમિયાન પરિસ્થિતિ નિયંત્રણ બહાર ગઈ હતી. હકીકતમાં, હજારો ખેડૂતો શુક્રવારે હિસારના ખેડી ચોપટા ખાતે ખનૌરી સરહદ તરફ કૂચ કરવા માટે એકઠા થયા હતા, જેને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જેનાથી રોષે ભરાયેલા ખેડૂતોએ પોલીસ કર્મચારીઓ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. પરિસ્થિતિ કાબુ બહાર જતી જોઈને પોલીસ જવાનોએ ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા.

આ હિંસામાં કેટલાક ખેડૂતો ઘાયલ થયા છે, જ્યારે એક પોલીસ અધિકારી ઘાયલ થયા છે. પરિસ્થિતિને જોતા જિલ્લા પ્રશાસને ત્યાં વધારાના દળો તૈનાત કર્યા છે. મીડિયા અહેવાલમાં જણાવાયું છે કે ખેડૂત સંગઠનો અને ખાપ પંચાયતોએ ખેડૂતોને ખેડી ચોપટા ખાતે ભેગા થવા કહ્યું હતું. આ ખેડૂતો ત્યાંથી પંજાબ બોર્ડર પર ખનૌરી તરફ કૂચ કરવા માંગતા હતા પરંતુ પોલીસે તેમને રોક્યા હતા. જેના કારણે ખેડૂતોમાં રોષ ફેલાયો હતો.

ખેડૂતો અને પોલીસ વચ્ચેના ઘર્ષણના વીડિયો ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પોલીસ અશાંતિ ફેલાવવાના આરોપમાં એક વ્યક્તિની અટકાયત કરીને આગળ વધી રહી છે ત્યારે ખેડૂતોએ પોલીસકર્મીઓને ઘેરી લીધા છે.

ઉલ્લેખનીય છે કે પંજાબ-હરિયાણાની શંભુ બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં હરિયાણાના ખેડૂતો છેલ્લા પાંચ દિવસથી ખેડી ચોપટા ખાતે હડતાળ પર બેઠા હતા. તેઓ બંને રાજ્યોની સરહદ પર વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે જોડાવા મટે કૂચ કરવાની યોજના બનાવી રહ્યા હતા. આ વિસ્તારમાં વિરોધ કરવા માટે એકઠા થયેલા સેંકડો લોકોને વિખેરવા પોલીસે વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો હતો.

દરમિયાન, સરહદ પર ખનૌરી ખાતે ‘દિલ્લી ચલો’ કૂચમાં ભાગ લઈ રહેલા 62 વર્ષીય ખેડૂતનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. મૃતકની ઓળખ ભટિંડા જિલ્લાના અમરગઢ ગામના વતની દર્શન સિંહ તરીકે થઈ છે. સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મઝદૂર મોરચા (KMM) એમએસપી પર કાયદા સહિતની તેમની વિવિધ માંગણીઓ સાથે પંજાબ અને હરિયાણાની શંભુ અને ખનૌરી સરહદ પર ખેડૂતોના આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા છે.