રાજ્યના યુવાનોને નશાની લત ઉપર ચડાવવા માટે નશાના વેચાણકર્તાઓ અવનવા કીમિયો અપનાવીને નશાની સમગ્ર વસ્તુઓને રાજ્યમાં છુપી રીતે ઘુસાવી રહ્યા છે. અને આ રેકેટને પકડી પાડીને નશાના કારોબારને જડમૂળથી તોડી પાડવા માટે રાજ્યની પોલીસ એક્ટિવ થઇ ગઈ છે. રાજ્યમાં અનેક જગ્યાએ પોલીસના દરોડા પડી રહ્યા છે. દરોડામાં ચરસ, ગાંજો , તેમજ વિદેશી દારૂની બોટલો મોટી માત્રામાં પકડાઈ રહી છે.
તાજેતરની જો વાત કરીએ તો આણંદ રેલવે સ્ટેશન પરથી સોમવારે રાત્રિના સમયે આણંદ રેલવે પોલીસને સાથે રાખીને નાર્કોટીક્સ કંટ્રોલ બ્યૂરો(એનસીબી)ની ટીમે બે દંપત્તિ અને એક બાળક મળી કુલ પાંચ જણને રૂપિયા 10 લાખની કિંમતના 40 કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસની સઘન પૂછપરછમાં તેઓ ઓરિસ્સાથી અમદાવાદ તરફ જઈ રહ્યા હોવાનું ખૂલ્યું હતું. હાલમાં પોલીસે મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં સમગ્ર તપાસ પૂરી થયા બાદ ગુનેગારોના નામ જાહેર કરાશે.
અમદાવાદની એનસીબીની ટીમે બાતમીના આધારે ગાંધીધામ પૂરી એક્સપ્રેસ ટ્રેનમાંથી બે પુરૂષ, બે મહિલા અને એક બાળકની અટકાયત કરી હતી. પોલીસની તપાસમાં તેમની પાસેથી માલસામાનની સાથે ગાંજો મળી આવ્યો હતો. ગાંજો કુલ રૂપિયા 40 કિલો હતો અને તેની કિંમત અંદાજે રૂપિયા 10 લાખની થાય છે. પોલીસની પૂછપરછમાં તેમણે જણાવ્યું હતું કે, ચારેય જણાં મૂળ ઓરિસ્સાના પ્રેમનગરના રહેવાસી છે અને તેઓ ઓરિસ્સાથી ટ્રેનમાં બેઠા હતા. ગાંજો કોણે આપ્યો હતો અને કોને આપવાનો હતો તે હકીકત જણાવી નહોતી.
પણ, અમદાવાદમાં રથયાત્રા હોય ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેઓને પકડાઈ જવાનો ભય હતો. એટલે તેમણે આણંદ ઉતરી જઈને અહીંયાથી રોડ માર્ગે જવાનું પ્લાનિંગ કર્યું હતું. જોકે, આ સમગ્ર હકીકત પોલીસને મળતાં પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસ દ્વારા તાત્કાલિક બે પુરૂષ સાથે મળી આવેલા મોબાઈલને કબ્જે લેવામાં આવ્યા હતા. જેમાંથી કેટલાક ફોન નંબર મળ્યા છે. ફોનથી જ તેમને આણંદ ઉતરી જવાની સુચના મળી હોવાનું પણ અનુમાન લગાવાઈ રહ્યું છે. જોકે, છેલ્લાં કેટલાં લોકોના તેઓ સંપર્કમાં હતા, તેના આધારે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
