નવી દિલ્હી,
મોબાઇલ ટાવરોમાંથી નીકળતા કિરણોત્સર્ગથી વ્યક્તિઓના આરોગ્ય સાથે ખતરાને લઈ જુહી ચાવલા દ્વારા લાવવામાં આવેલી અરજીની સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટ સંમત થઈ છે. ત્યારબાદ હવે આ મામલે અન્ય પાંચ અરજી સાથે જુહી ચાવલાની અરજીની સુનાવણી નવેમ્બરમાં હાથ ધરાશે.
એડવોકેટ અર્પણા ભટ્ટ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરનાર અભિનેત્રી જુહી ચાવલાએ એવો આરોપ મૂક્યો હતો કે, “મોબાઇલ ટાવરોમાંથી નીકળતા કિરણોત્સર્ગથી આરોગ્ય સામે ખતરો ઊભો થાય છે અને ઈએમએફ રેડિયેશનની કાર્સિનોજેનિક અસર સહિત આરોગ્ય સામે ઊભા થતા ખતરાને ધ્યાનમાં લઈને કોઈપણ વિસ્તારમાં આ પ્રકારના ટાવરોની ગીચતા પર મર્યાદા લાવવા માટે નિયમો ઘડી કાઢવા કેન્દ્ર સરકારને આદેશ આપવો જોઈએ”.

આ ઉપરાંત જુહી ચાવલાએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, “ભારતમાં આ પ્રકારના ટાવરો અને એન્ટેના નાગરિકોની નજીક હોવાથી ઈએમએફ રેડિયેશનની ટાવરગીચતા ઘણી ઊંચી છે. કિરણોત્સર્ગની નુકસાનકારક અસરોને ઘટાડવા તેમજ પાવર આઉટપુટ ઘટાડવી જોઈએ અથવા તો બે ટાવરો વચ્ચેનું અંતર વધારવું જોઈએ. ટેલિકોમ વિભાગ દ્વારા જે માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી છે તે સલાહ આપવા પૂરતી જ મર્યાદિત છે અને તેને કોઈ કાનૂની આધાર મળતો નથી”.
