સંજય ઘમંડે દ્વારા
અમદાવાદ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવેમ્બર અંતથી ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર શરુ કરવાના છે. ગુજરાત ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર રાજ્યમાં અંદાજે 50 જેટલી રેલી અને સભા સંબોધશે. વડાપ્રધાનની સાથે સાથે ગુજરાત અને ગુજરાત બહારના ઓબીસી અને દલિત નેતાઓ પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં જોવા મળશે. ગુજરાતમાં અન્ય રાજ્યમાંથી અંદાજે 200 જેટલી સંખ્યામાં ઓબીસી અને દલિત નેતાઓ ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે પ્રચાર કરશે. જોકે વડાપ્રધાનના ગુજરાત પ્રવાસની સત્તાવાર જાહેરાત હજુ કરવામાં આવી નથી. રેલી અને સભાઓની સાથે સાથે નરેન્દ્ર મોદી અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત ભૂજ જેવા મહત્વના શહેરોમાં રોડ શો પર કરશે.
આપને જણાવી દઇએ કે ગુજરાતમાં 22 વર્ષ પછી સત્તા હાંસલ કરવા માટે કોંગ્રેસે પણ કમર કસી છે અને કોંગ્રેસે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરની સાથે દલિત યુવા નેતા જીગ્નેશ મેવાણીનું સમર્થન મેળવ્યું છે. તેની સામે ભાજપ દ્વારા પણ ઓબીસી અને દલિત મતદારો સુધી પહોંચવા માટે રાજ્યના દલિત અગ્રણીઓની સાથે રાષ્ટ્રીયસ્તરના દલિત અને ઓબીસી અગ્રણીઓ અને રાજકીય નેતાઓને ગુજરાત પ્રવાસે લાવવાની રણનીતિ ઘડી છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ અમિત શાહની રણનીતિ અનુસાર ગુજરાતની 182 વિધાનસભા બેઠકોવાળા તમામ 33 જિલ્લામાં નરેન્દ્ર મોદી સહિતના નેતા પ્રચાર કરશે. દરેક જિલ્લામાં નરેન્દ્ર મોદીની એક અથવા એકથી વધારે રેલી અને સભા યોજવા માટે ભાજપનું આયોજન છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે. પ્રથમ તબક્કાનું મતદાન 9મી ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 14મી ડિસેમ્બરે યોજાશે.
