Agriculture University/ ગુજરાતની પહેલઃ ભારતમાં પ્રથમ ‘ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી’

મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં વૈજ્ઞાનિક ઢબે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા ‘ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી’ મહત્વની ભૂમિકા ભજવશે

Top Stories Gujarat

મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં વૈજ્ઞાનિક ઢબે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા ‘ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી’ મહત્વની ભૂમિકા ભજવશે. ભારતની પ્રથમ ‘ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી’  શરુ કરવાની ગુજરાતની આ આગવી પહેલ છે તેમ, વિધાનસભા ગૃહમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી સુધારા વિધેયક અંગે જણાવ્યું હતું.

વૈજ્ઞાનિક ઢબે પ્રાકૃતિક ખેતીને ઉત્તેજન આપવા માટે અને પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં અનુભવી-જાણકાર માનવ સંશાધન ઉપલબ્ધ કરાવાના હેતુથી ગુજરાત નેચરલ ફાર્મિંગ અને ઓર્ગેનિક એગ્રિકલ્ચર યુનિવર્સિટીનું નામ બદલીને ‘ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી’ કરવું જરૂરી હોઈ આ વિધેયક લાવવામાં આવ્યું છે.

મંત્રી  પટેલે ઉમેર્યું કે,દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિના ઉત્કર્ષ માટે સતત આહ્વાન કરી રહ્યા છે. ત્યારે પ્રાકૃતિક કૃષિના શિક્ષણ, સંશોધન અને પ્રચાર-પ્રસારને વધુ વેગમાન બનાવવા એક કેન્દ્રીત લક્ષ્ય સાથે કામગીરીના હેતુથી દેશની પ્રથમ ‘ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી’ સઘન કામગીરી કરશે. આવી પ્રાકૃતિક કૃષિને લક્ષ્યમાં લઈને કામગીરી કરતી દેશની આ પ્રથમ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી હશે. જે નવીન પહેલ ગુજરાત કરવા જઈ રહ્યું છે.જે આપણા સૌ માટે ગૌરવની વાત છે.

પ્રાકૃતિક ખેતીનું પ્રમાણ વધતા જમીન બિનઉપજાઉ બનતા અટકાવી શકાશે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગથી પર્યાવરણમાં મોટાપાયે પરિવર્તનો આવ્યા છે.પ્રાકૃતિક કૃષિના વ્યાપથી પર્યાવરણની જાળવણી અને તેનું સંરક્ષણ થશે. આરોગ્યને હાનિકારક એવા વધુ પડતાં રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવાના વપરાશથી ઉત્પન્ન થતી ખેતી પેદાશો ખોરાક તરીકે લેવાથી અસાધ્ય કેન્સર, કીડનીના વગેરે રોગો થાય છે. જેનાથી બચવા દૈનિક આહાર તરીકે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો જરૂરી છે.

પ્રાકૃતિક ખેતી ગાયના ગોબર તથા ગૌ મુત્ર આધારિત જીવામૃત અને ઘનામૃત ખેડૂત જાતે બનાવી ઉપયોગમાં લેતા હોવાથી પ્રાકૃતિક ખેતી માટે બહારથી ખેત સામગ્રી ખરીદવાની જરૂરીયાત રહેતી નથી તેથી ખેતી ખર્ચ ઘટે છે.

મંત્રીએ ઉમેર્યું કે, પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે ‘ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી’ બનવાથી આ યુનિવર્સિટી  શિક્ષણ, સંશોધન અને વિસ્તરણની પ્રવૃત્તિઓ વધુ સઘન કરી શકશે. વૈજ્ઞાનિક ઢબે સંશોધન અને શિક્ષણની ચોક્કસ દિશામાં કામગીરી થવાથી લાંબાગાળે તેના પરિણામોથી ખેડૂતો લાભાન્વિત થશે અને ખેડૂતો સરળતાથી પ્રાકૃતિક ખેતી અપનાવશે.

આ સુધારા વિધેયકની ચર્ચા દરમિયાન વિધાનસભા ગૃહના સભ્યશ્રીઓ દ્વારા ખૂબજ હકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવી રચનાત્મક સૂચનો સાથે વિધેયકને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું.