Kashmir/ કલમ 370 રદ થવા સામેની અરજીની સુપ્રીમ કોર્ટમાં 11 જુલાઇએ ફરી સુનાવણી

જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવા અને રાજ્યના બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજનને પડકારતી અનેક અરજીઓ પર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે

Top Stories India

જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવા અને રાજ્યના બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજનને પડકારતી અનેક અરજીઓ પર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. ત્રણ વર્ષ બાદ આ એપિસોડ ફરી ચર્ચામાં છે. પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચ 11 જુલાઈના રોજ પ્રાથમિક કાર્યવાહી હાથ ધરશે અને દસ્તાવેજો અને લેખિત સબમિશન ફાઇલ કરવા સંબંધિત પ્રક્રિયાત્મક સૂચનાઓ જારી કરશે. આ દરમિયાન સુનાવણી શરૂ થવાની તારીખ પણ જણાવવામાં આવશે.બેન્ચમાં ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ સંજય કિશન કૌલ, સંજીવ ખન્ના, બીઆર ગવઈ અને સૂર્યકાંતનો સમાવેશ થશે. કોર્ટ એ તપાસ કરશે કે શું સંસદ જમ્મુ અને કાશ્મીરના લોકોની સંમતિ વિના કલમ 370 નાબૂદ કરી શકે છે અને શું તેનું બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજન બંધારણીય પગલું હતું.

આ પહેલા સોમવારે કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં નવી એફિડેવિટ દાખલ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું છે કે ઓગસ્ટ 2019માં કલમ 370 નાબૂદ થયા બાદથી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં અભૂતપૂર્વ શાંતિનો માહોલ છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એફિડેવિટમાં કહ્યું કે જમ્મુ-કાશ્મીર છેલ્લા ત્રણ દાયકાથી આતંકવાદનો સામનો કરી રહ્યું છે. આને રોકવાનો એકમાત્ર રસ્તો કલમ 370 હટાવવાનો હતો. આજે ખીણમાં શાળાઓ, કોલેજો, ઉદ્યોગો સહિત તમામ જરૂરી સંસ્થાઓ સામાન્ય રીતે ચાલી રહી છે. ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે અને જે લોકો પહેલા ભયમાં જીવતા હતા તેઓ શાંતિથી જીવી રહ્યા છે.

છેલ્લી સુનાવણી માર્ચ 2020માં થઈ હતી
આ મામલાની છેલ્લી સુનાવણી માર્ચ 2020માં પાંચ જજોની અલગ બેંચ દ્વારા કરવામાં આવી હતી. તે સુનાવણીમાં, બેન્ચે આ મામલાને સાત ન્યાયાધીશોની મોટી બેંચને મોકલવાનો ઇનકાર કર્યો હતો.

ઓગસ્ટ 2019માં કલમ 370 હટાવવામાં આવી હતી
જણાવી દઈએ કે ઓગસ્ટ 2019માં મોદી સરકારે કલમ 370 હટાવી દીધી હતી. જે બાદ સંસદે રાજ્યના વિભાજન માટે જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન કાયદો પસાર કર્યો હતો.જ્યારે રાજ્યની વિધાનસભા કાર્યરત ન હતી ત્યારે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યા બાદ આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. અરજીઓમાં દલીલ કરવામાં આવી છે કે રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાષ્ટ્રપતિની ઘોષણા દ્વારા કલમ 370 નાબૂદ કરવી એ જમ્મુ અને કાશ્મીરના લોકોના લોકતાંત્રિક અધિકારોનું ઉલ્લંઘન છે.જૂન 2018માં, ભાજપે મહેબૂબા મુફ્તીની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી સાથે ગઠબંધન તોડી નાખ્યું. આ પછી સરકાર પડી અને જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું. ત્યારથી આ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી થઈ નથી