મુંબઇ:
નાગરિક ઉડ્ડયન મંત્રાલય સરકારની માલિકીની વિમાન કંપની એર ઇન્ડિયા માટે રૂ. 11000 કરોડનું બેલઆઉટ પેકેજ આપવા સક્રિય વિચારણા કરી રહ્યું છે. આ માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય નાણાં મંત્રાલય સાથે વિચાર-વિમર્શ કરીને નિર્ણય લેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર એર ઇન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટમાં મળેલી નિષ્ફળતા તેમજ તેના ખાનગીકરણ માટે કોઇ યોગ્ય બીડ નહીં મળતાં સરકાર હવે આ કંપનીને ચલાવવા માટે બેલઆઉટ પેકેજ આપવા પર વિચારી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે એર ઇન્ડિયા જંગી ખોટ કરી રહી છે અને સતત આર્થિક સંકટ નો સામનો કરી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એર ઇન્ડિયાની બેલેન્સશીટ સુધારવા તેને રાહત પેકેજ આપવાનું વિચારવામાં આવી રહ્યું છે. આ અંગે જોકે નાગરિક ઉડ્ડયન મંત્રાલય ના સચિવ આર. એન. ચૌબેએ કોઇ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો હતો.
જ્યારે એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ મામલો નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળ આવે છે અને તેથી અમે આ અંગે કોઇ પ્રતિક્રિયા આપી શકીએ નહીં. આમ જોઇએ તો એર ઇન્ડિયા વર્ષ 2012થી યુપીએ સરકારના કાર્યકાળથી બેલઆઉટ પેકેજ પર ચાલી રહી છે.

એર ઇન્ડિયા પર માર્ચ-2017ના અંત સુધી રૂ.48 હજાર કરોડથી વધુ દેવું હતું. ગયા મહિને સરકારે એર ઇન્ડિયામાં ઇક્વિટી ઇન્ફ્યૂઝન માટે રૂ. 980 કરોડની પૂરક ગ્રાન્ટ મંજૂર કરવા માટે સંસદની મંજૂરી માગી હતી. આર્થિક સંકટ અને તંગીના કારણે છેલ્લાં પાંચ મહિનાથી એર ઇન્ડિયાના કર્મચારીઓના પગાર સમયસર થતા નથી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે એર ઇન્ડિયા ને રાહત પેકેજ આપવાની દરખાસ્ત હજુ પ્રારંભિક તબક્કામાં છે અને સઘન વિચાર-વિમર્શ બાદ આ અંગે નિર્ણય લેવાશે.
