ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતીય ટીમનો ૫૩ રને શાનદાર વિજય થયો હતો. આ સાથે ભારતે ૩ મેચની સિરીઝમાં ૧-૦ ની લીડ હાંસલ કરી લીધી છે. ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ સામે ૨૦૦૭ બાદ પહેલીવાર જીત મેળવી હતી. બીજી બાજુ આ મેચ ફાસ્ટ બોલર આશિષ નહેરાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ હતી ત્યારે ભારતીય ટીમે વિજય સાથે નહેરાને વિદાય આપી હતી.

ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા ૨૦૨ રનનો વિશાળ સ્કોર ખડકયો હતો. ઓપનર શિખર ધવન અને રોહિત શર્માએ અનુક્રમે ૮૦-૮૦ રન ફટકાર્યા હતા. ૨૦૩ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ન્યુઝીલેન્ડની ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૪૯ રન જ બનાવી શકી હતી અને ભારતીય ટીમ સામે ન્યુઝીલેન્ડની પહેલીવાર પરાજય થયો હતો. ભારત તરફથી યજુવેન્દ્ર ચહલ અને અક્ષર પટેલે અનુક્રમે ૨-૨ વિકેટ ઝડપી હતી.
