Kashmir/ કાશ્મીરમાં હિન્દુઓ અને સીખની હત્યાઓનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો

હિન્દુઓ અને સીખોની હત્યા મામલે રાષ્ટ્રીય તપાસ એજન્સીને તપાસ સોંપવા માટે માંગ કરી છે. પત્રમાં મૃતક લોકોના પરિવારને એક-એક કરોડ રૂપિયા અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની માંગ કરી છે.

Top Stories India
supreme court of india

કાશ્મીરમાં હિન્દુ અને સીખોની હત્યાનો મામલો હવે સુપ્રીમ કોર્ટ પહોચી ગયો છે. દિલ્હીના વકીલ વિનીત જિંદાલે દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એન.વી.રમનાને પત્ર લખીને આ મામલે નોંધ લેવા વિનંતી કરી છે.

પત્રમાં વકીલ વિનીત જિંદાલે કાશ્મીરમાં રહેતા સીખો અને હિન્દુઓને સુરક્ષા આપવા માટે કહ્યું  છે. આ સાથે હિન્દુઓ અને સીખોની હત્યા મામલે રાષ્ટ્રીય તપાસ એજન્સીને તપાસ સોંપવા માટે માંગ કરી છે. પત્રમાં મૃતક લોકોના પરિવારને એક-એક કરોડ રૂપિયા અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની માંગ કરી છે.

જિંદાલે પોતાના પત્રમાં લખ્યું છે કે, કાશ્મીર ઘાટીમાં તાજેતરમાં થયેલી ઘટનાઓ, વિશેષરૂપે લક્ષિત અલ્પસંખ્યક સમુદાયના સભ્યોની હત્યાએ ફરીથી વર્ષ 2000માં અનંતનાગના છત્તીસિંહપોરા ગામમાં થયેલી 36 સીખોના નરસંહારની ભીષણ ઘટનાની યાદ અપાવી દીધી છે.

છેલ્લા પાંચ દિવસમાં કાશ્મીર ઘાટીમાં સાત નાગરિકોની હત્યા થઇ છે. જેમાંથી છ હત્યા શહેરમાં થઇ છે. મૃતકોમાં ચાર લોકો હિન્દુ અને સીખ સમુદાયથી હતા. જમ્મુ કાશ્મીરમાં સામાન્ય નાગરીકો પર થઇ રહેલા હુમલાની વચ્ચે શ્રીનગરના ઇદગાહ વિસ્તારમાં ગુરુવારે આતંકવાદીઓએ એક મુખ્ય પ્રોફેસર સહીત સરકારી વિદ્યાલયના બે શિક્ષકોની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.