આઝાદીનું જશ્ન/ ટૂંક સમયમાં 100 લાખ કરોડ રૂપિયાથી વધુની યોજના જાહેર કરવામાં આવશે -PM મોદી

આજે સમગ્ર દેશ આઝાદીની 75 મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. સમગ્ર દેશ આજે દેશભક્તિનાં રંગમાં રંગાઇ ગયો છે. લાલ કિલ્લાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યો છે. લાલ કિલ્લાની આસપાસ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

Mantavya Exclusive

આજે સમગ્ર દેશ આઝાદીની 75 મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. સમગ્ર દેશ આજે દેશભક્તિનાં રંગમાં રંગાઇ ગયો છે. લાલ કિલ્લાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યો છે. લાલ કિલ્લાની આસપાસ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં વડાપ્રધાન મોદી થોડીવારમાં ધ્વજ ફરકાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજઘાટ પહોંચ્યા અને મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પર પહોંચી ગયા છે. અહીં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, સંરક્ષણ રાજ્યમંત્રી અજય ભટ્ટ અને સંરક્ષણ સચિવ ડો.અજય કુમારે લાલ કિલ્લા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું.

લાલ કિલ્લા પર પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું. આ પછી PM મોદીએ લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યો. લાલ કિલ્લા પર પ્રથમ વખત ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો હતો. PM મોદી દેશવાસીઓને સંબોધિત કરી રહ્યા છે. લાલ કિલ્લાનાં પ્રાચીર પર દેશવાસીઓને સંબોધતા PM મોદીએ સૌપ્રથમ દેશનાં તમામ મહાપુરુષોને યાદ કર્યા હતા.

આ પણ વાંચો – આઝાદીનું જશ્ન / 75માં સ્વાતંત્ર્ય દિને PM મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

PM મોદીએ આ સમયે કોરોના વોરિયર્સને યાદ કરતા તેમના કામનાં વખાણ કર્યા હતા. તેમણે કહ્યુ કે, કોવિડ દરમિયાન, આપણા ડોકટર્સ, નર્સો, પેરામેડિકલ સ્ટાફ, સ્વચ્છતા કામદારો, રસીઓ વિકસાવતા વૈજ્ઞાનિકો અને સેવાની ભાવના સાથે કામ કરી રહેલા કરોડો નાગરિકો – આ સમયગાળા દરમિયાન અન્યની સેવા કરવા માટે દરેક ક્ષણ કાઠ્યો તે તમામ આપણા પ્રશંસાનાં પાત્ર છે.

અમે 14 મી ઓગસ્ટને વિભાજન દરમિયાન ભારતનાં લોકોની પીડા અને વેદનાને સન્માનિત કરવા માટે વિભાજન ભયાવહ સ્મૃતિ દિવસ તરીકે મનાવવાનો નિર્ણય લીધો છે: PM મોદી

ભારતીયોએ ખૂબ જ ધીરજથી આ લડાઈ (કોવિડ) લડી છે. અમારી સામે ઘણા પડકારો હતા પરંતુ અમે દરેક ક્ષેત્રમાં અસાધારણ ઝડપ સાથે કામ કર્યું. તે આપણા ઉદ્યોગપતિઓ અને વૈજ્ઞાનિકોની તાકાતનું પરિણામ છે કે આજે ભારતને રસી માટે અન્ય કોઇ દેશ પર નિર્ભર રહેવાની જરૂર નથી: PM મોદી

ટોક્યો ઓલિમ્પિકમાં જે ખેલાડીઓએ આપણને ગૌરવ અપાવ્યું છે તે આજે આપણી સાથે છે. હું આજે રાષ્ટ્રને તેમની સિદ્ધિની પ્રશંસા કરવા વિનંતી કરું છું. તેમણે આપણું દિલ જ જીત્યું નથી પણ આવનારી પેઢીઓને પણ પ્રેરણા આપી છે: PM મોદી

આ પણ વાંચો – તાલિબાનોનો ભય / તાલીબાનનો અફઘાનનાં ચોથા સૌથી મોટા શહેર મઝાર-એ-શરીફ પર કબ્ઝો

લાલ કિલ્લા પર PM મોદીએ કહ્યુ કે,  અમે ગર્વથી કહી શકીએ છીએ કે, આજે ભારતમાં સૌથી મોટો COVID-19 રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે. અત્યાર સુધી 54 કરોડથી વધુ લોકોને રસીનો ડોઝ મળ્યો છે.

વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, દરેક દેશની વિકાસ યાત્રામાં એક સમય આવે છે જ્યારે તે રાષ્ટ્ર પોતાને ફરીથી વ્યાખ્યાયિત કરે છે, જ્યારે તે નવા સંકલ્પો સાથે આગળ વધે છે. આજે તે સમય ભારતની વિકાસયાત્રામાં આવી ગયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર સબકા સાથ, સબકા વિકાસનો નારો આપ્યો અને કહ્યું કે જો લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય તો આપણે સબકા સાથ અને સબકા વિકાસ સાથે આગળ વધવું પડશે.

વડાપ્રદાન મોદીએ વધુમાં કહ્યું કે, છેલ્લા 7 વર્ષમાં શરૂ થયેલી અનેક યોજનાઓનાં લાભો કરોડો ગરીબોનાં ઘર સુધી પહોંચ્યા છે. ઉજ્જવલાથી આયુષ્માન ભારત સુધી દેશનાં ગરીબો તેમની (યોજનાઓ) તાકાત જાણે છે. આજે સરકારી યોજનાઓએ વેગ પકડ્યો છે અને તેમના લક્ષ્યો સુધી પહોંચી રહી છે.

દેશને સંબોધતા PM નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, 21 મી સદીમાં નવી ઉંચાઈઓ પર લઈ જવા માટે ભારતની ક્ષમતાઓનો સંપૂર્ણ ઉપયોગ કરવો જરૂરી છે. આ માટે, આપણે જે વર્ગ પાછળ છે, જે પ્રદેશ પાછળ છે, તેનો હાથ પકડવો પડશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વિકાસ સર્વસમાવેશક હોવો જોઈએ. પૂર્વોત્તર ક્ષેત્ર, જમ્મુ -કાશ્મીર, લદ્દાખ, દરિયાકાંઠાનો વિસ્તાર અને આદિવાસી ક્ષેત્ર સહિત હિમાલયનો પ્રદેશ ભવિષ્યમાં ભારતનાં વિકાસનો પાયો રચશે.

જમ્મુ-કાશ્મીર અંગે વડાપ્રદાન મોદીએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં સીમાંકન પંચની રચના કરવામાં આવી છે અને ભવિષ્યની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે.

PM મોદીએ કહ્યું કે, મૂળભૂત સુવિધાઓની કાળજી લેવા ઉપરાંત દલિત, પછાત, આદિવાસી, સામાન્ય વર્ગનાં આર્થિક રીતે નબળા વર્ગો માટે અનામત લાગુ કરવામાં આવ્યુ હતુ. તાજેતરમાં, ઓબીસીને અખિલ ભારતીય ક્વોટા હેઠળ તબીબી શિક્ષણમાં અનામત આપવામાં આવ્યુ હતુ. રાજ્યોને પોતાની ઓબીસી યાદી બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

PM મોદીએ કહ્યું કે, આજે આપણે જોઈએ છીએ કે, આપણા ગામો ઝડપથી બદલાઈ રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગામડાઓમાં રસ્તા અને વીજળી જેવી સુવિધાઓ પહોંચી છે. આજે ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક ગામડાઓને ડેટા પાવર આપી રહ્યું છે, ઇન્ટરનેટ ત્યાં પહોંચી રહ્યું છે. ગામડાઓ પણ ડિજિટલ થઈ રહ્યા છે.

ખેડૂતોને સંબોધતા PM મોદીએ કહ્યું કે, આવનારા વર્ષોમાં આપણે દેશનાં નાના ખેડૂતોની સામૂહિક શક્તિ વધારવી પડશે. આપણે તેમને નવી સુવિધાઓ આપવી પડશે. તેમણે દેશનું ગૌરવ બનવું જોઈએ.

વડાપ્રદાન મોદીએ કહ્યું કે, ટૂંક સમયમાં દેશની ‘પ્રધાનમંત્રી ગતીશક્તિ યોજના’ જાહેર કરવામાં આવશે, તે 100 લાખ કરોડ રૂપિયાથી વધુની યોજના હશે જે લાખો યુવાનો માટે રોજગારની તકો લાવશે. આ દેશ માટે માસ્ટરપ્લાન હશે જે નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પાયો નાખશે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા દેશને સ્વતંત્રતા દિવસ પર અભિનંદન આપતા PM મોદીએ કહ્યું કે, 75 માં સ્વતંત્રતા દિવસ પર આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. સ્વતંત્રતાનાં અમૃતમાં, દેશવાસીઓમાં નવી ઉર્જા અને નવી ચેતનાનો સંચાર કરો. જય હિન્દ!