Politics/ રાજકીય પક્ષોની ચાલી રહેલી યાત્રા, કોને આપશે આમંત્રણ જાણો…

ગુજરાતમાં વર્ષ 2022ના ડીસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી 2020 આવી રહી છે, તે અગાઉ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પ્રજા સાથે સંપર્ક વધાર્યો છે.

Top Stories

એક બાજુ કોરોનાની ત્રીજી લહેરની આશંકા નિષ્ણાંતો વ્યકત કરી રહ્યા છે, ત્યારે બીજી બાજુ રાજકીય પાર્ટી ચુંટણી ઢંઢેરાના કારણે જનસંર્પકના કામે લાગી ગઇ છે. પરંતુ સરકારની કોવિડ-19ની ગાઇડ લાઇનને અવગણીને કરવામાં આવી રહેલી આવી પ્રચાર યાત્રા પ્રજા માટે કેટલી હીતકારી બની રહેશે તે તો સમય જ બતાવશે. પરંતુ વર્તમાન સમયમાં 2022ની વિધાનસભાની ચૂટણી માટે વોટબેંક માટેની તૈયારીઓ શરૃ થઇ ગઇ છે.

ગુજરાતમાં વર્ષ 2022ના ડીસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી 2020 આવી રહી છે, તે અગાઉ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પ્રજા સાથે સંપર્ક વધાર્યો છે. ભાજપે જન આશિર્વાદ યાત્રા શરૂ કરી છે. કોંગ્રેસે કોવિડ 19 ન્યાય યાત્રા શરૂ કરી છે અને આમ આદમી પાર્ટીએ જનસંવેદનામુલાકાત યોજી છે. આ ત્રણેય યાત્રા યોજવાનો હેતુ માત્રને માત્ર પ્રજા સુધી જવાનો છે અને ચૂંટણી પ્રચારનો છે, પરંતુ તેની સાથે ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવનો વ્યક્ત થઈ રહી છે, આવી યાત્રાઓમાં કોવિડની ગાઈડલાઈનનું  પાલન થતું નથી. રાજકીય પાર્ટીઓ દ્વારા કાઢવામાં આવતી યાત્રાઓમાં કોવિડ ગાઇડલાઇન્સનું  જરા પણ પાલન થતું નથી. સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા સાથે 40થી 50 ટકા લોકોએ માસ્ક પહેર્યા હોતા નથી. ગુજરાતના ગામેગામ આવી રાજકીય યાત્રાઓ શરૂ થઈ છે, અને હાલ ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના પણ વ્યક્ત કરાઈ રહી છે. જો આવી રીતે રાજકીય યાત્રા નિકળશે અને કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન નહી થાય તો કોરોનાની ત્રીજી લહેરને આવી રાજકીય યાત્રાઓ નિમંત્રણ આપશે.

ભાજપની જન આશિર્વાદ યાત્રા

કેન્દ્ર સરકારના 5 કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, દર્શના જરદોશ, દેવુસિંહ ચૌહાણ અને ડૉ. મહેન્દ્ર મુંજપુરાએ જન આશિર્વાદ યાત્રા કાઢી છે. મોદી સરકાર અને ગુજરાત સરકારે કરેલા કાર્યોને પ્રજા સુધી પહોંચાડવા માટે તેમને જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મંત્રી રત્નાકર આવ્યા બાદ આ જન આશિર્વાદ યાત્રા ( Jan Ashirwad Yatra)કાઢવાનું નક્કી થયું છે. રત્નાકરે કહ્યું હતું કે, દરેક કાર્યકરોએ જન આશિર્વાદ યાત્રાના માધ્યમથી જનતાની સાથે સમન્વય અને સદભાવ કેળવવા જરૂરી છે. ભાજપ હાઈકમાન્ડે મોદીના પાંચ કેન્દ્રીય પ્રધાનને લોકો સમક્ષ જવાની અને સરકારી યોજનાઓ અને સરકારના કાર્યોને લોકો સમક્ષ લઈ જવા સ્ટ્રેટેજીના ભાગરૂપે જન આશિર્વાદ યાત્રા કાઢવાનું નક્કી થયું છે. આ યાત્રા 26 જિલ્લાઓને આવરી લેશે અને 21 ઓગસ્ટ સુધી યાત્રા ચાલશે.

કોંગ્રેસની કોવિડ ન્યાય યાત્રા 

કોંગ્રેસે પ્રજા સાથે સંપર્ક રાખવા માટે કોવિડ ન્યાય યાત્રા નામ આપીને  રાજ્ય સરકાર પાસે ન્યાય માંગ્યો  છે. કોવિડના સમયમાં જે લોકોને અસર થઈ રહી છે, તે મુદ્દે રાજ્ય સરકાર સહાય આપે. કોંગ્રેસની કોવિડ ન્યાય યાત્રા સતત બે મહિના સુધી ચાલશે અને 18,000થી વધુ ગામડાઓને ખૂંદી વળશે. કોવિડ દરમિયાન ગુજરાત સરકારની નાકામીને હથિયાર બનાવીને તે વાત લોકો સમક્ષ મુકશે. રેમેડેસીવીર ઈન્જેકશનના કાળાબજાર, ઓક્સિજનનો અભાવ, હોસ્પિટલો ફુલ, દર્દીઓને યોગ્ય સારવાર મળી નથી, ખાનગી દવાખાનાઓએ કોરોના સમયગાળા દરમિયાન લૂંટ ચલાવી છે, તે મુદ્દાને લઈને પ્રજા સમક્ષ રજૂ કરશે.

‘આપ’ની જન સંવેદના યાત્રા

આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા 45 દિવસથી જન સંવેદના યાત્રા  ચાલી રહી છે. કોરોનામાં મૃત્યુ પામેલાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે, અને રાજ્ય સરકારના ભ્રષ્ટ શાસનની વાત લોકો સમક્ષ મુકાઈ રહી છે. દિલ્હી મોડલની વાહવાહીની સાથે શિક્ષણ અને આરોગ્યની સેવા વધુ મજબૂત કરવા માટે વચન અપાઈ રહ્યા છે. તેમજ આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો સ્વચ્છ વહીવટ અન શાસન આપીશું, તેવા વાયદા પણ કરવામાં આવી  રહ્યા છે.

 ભાજપ પર પ્રહાર

ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા સી.જે. ચાવડાએ જણાવ્યું હતુ કે, કોવિડ19 ન્યાય યાત્રા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા કાઢવામાં આવી રહી છે, જેનો મુખ્ય ઉદ્દેશ પ્રજા વચ્ચે જવાનો રહેલો છે. કોરોનાની પરિસ્થિતિમાં દરબદર ઓક્સિજન બેડ, કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે આઇસોલેશન બેડ અથવા તો 108 એમ્બ્યુલન્સ માટે થઈ ફાફા મારવા પડ્યા હતા, તેવી પરિસ્થિતિમાં ગુજરાતની જનતાએ સંયમતા રાખી હતી. તેમ છતાં ગુજરાતની ભાજપ સરકાર ગુજરાતના નાગરિકો ચિંતા કર્યા વગર ગુજરાતની ભાજપા સરકાર જન આશીર્વાદ યાત્રા કરીને લોકોના દુખમાં ભાગીદાર થવાની જગ્યાએ દુઃખની જાણે મજાક ઉડાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

ત્રણેય યાત્રાનો હેતુ એક 

ત્રણેય પક્ષોની રાજકીય યાત્રા ભલે જુદા-જુદા નામથી નીકળી હોય, પણ ત્રણેય પક્ષનો હેતુ  પ્રજા સાથે સંપર્ક સેતુનો  છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પ્રજાની નાડ પારખવી અને પછી રણનીતિ તૈયાર કરવાનો પણ છે. હવે જોવુ રહ્યુ કે આ યાત્રાઓ ઇલેક્શનમાં કયા પક્ષ માટે તારણહાર બને છે.