કોરોનાકાળ માં લોકડાઉન સમયે અકસ્માતની ઘટનામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ લોકડાઉનમાં છૂટછાટ બાદ ફરી રોડ અકસ્માત ની સતત રોજે રોજ ઘટનાઓ સામે આવી રહી છે. આજે સાબરકાંઠાના ઈડર – વિજયનગર પોળ જવાના હાઈવે પર એક કરૂણ અકસ્માત ની ઘટના સામે આવી છે. જેમાં રીક્ષા અને ઈકો કાર વચ્ચેના ગમખ્વાર અકસ્માત માં બે બાળકો સહિત ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના કડિયાદરા નજીક ઈકો કાર અને રીક્ષા વચ્ચે જબરદસ્ત અકસ્માતસર્જાયો હતો, જેમાં રીક્ષા ચાલક સહિત રીક્ષામાં સવાર પરિવારના બે માસૂમ બાળકોના સ્થળ પર જ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં બે લોકોની હાલત ગંભર જણાવવામાં આવી રહી છે. ઈજાગ્રસ્તોને તત્કાલીક સારવાર માટે ઈડરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી. પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી મામલો સંભાળી લીધો છે.
