નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ પોતાની ચાર્જશીટમાં જણાવ્યું છે કે બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાજે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા પાસે એક SUV કાર પાર્ક કરી હતી, જેમાં વિસ્ફોટક સામગ્રી મળી હતી. ચાર્જશીટ મુજબ, આમ કરીને વાજે અંબાણી પાસેથી પૈસા પડાવવા અને તેમની જૂની પ્રતિષ્ઠા અને દરજ્જો મેળવવા માંગતો હતો.

આ ઘટના પછી વાજે થાણેના ઉદ્યોગપતિ મનસુખ હિરણને “નબળી કડી” માનતા તેની હત્યા કરી દેવાઈ હોવાનો ઉલ્લેખ પણ ચાર્જશીટમાં કરવામાં આવ્યો હતો. એનઆઈએએ આરોપ લગાવ્યો હતો કે પૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્મા હત્યાના કાવતરામાં સામેલ હતા. કેન્દ્રીય એજન્સીએ 25 ફેબ્રુઆરીએ દક્ષિણ મુંબઈમાં અંબાણીના ઘર એન્ટિલિયા પાસે એક એસયુવીની શોધ અને ત્યારબાદ હરણની હત્યાના સંદર્ભમાં વાજે અને અન્ય 9 લોકો સામે અહીંની વિશેષ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

આરોપ છે કે વાજે, જે તેની ધરપકડ પહેલા મુંબઈ ક્રાઈમ બ્રાંચમાં આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર હતા, તેમણે અંબાણીના ઘર પાસે એસયુવી અને ધમકીભર્યા પત્રો મૂકવાનું કાવતરું ઘડ્યું હતું. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે, “ઈરાદો સ્પષ્ટ રીતે ધનિકોને ડરાવવાનો હતો અને તેમને ભયંકર પરિણામોનો ડર બતાવીને પૈસા પડાવવાનો હતો.” એજન્સીના જણાવ્યા અનુસાર, વાજે જાણી જોઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલીગ્રામ પર કથિત રીતે “જૈશ-ઉલ-હિન્દ” ના નામે બનાવટી પોસ્ટ કરીને કેસને “આતંકવાદી કૃત્ય” તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો.

ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે, “ધમકી આપતી નોટમાં “અગલે બાર કનેક્ટ કર આયેગા” એટલે “આગલી વખતે બોમ્બના તાર જોડાયેલા હશે” શબ્દો છે જે સ્પષ્ટપણે ષડયંત્ર કરીને દબંગ પોલીસકર્મીની ખોવાયેલી પ્રતિષ્ઠા પાછો મેળવવાનો તેનો ઇરાદો દર્શાવે છે.” એજન્સીનો આરોપ છે કે વાજે, જેણે શરૂઆતમાં આ કેસની જાતે તપાસ કરી હતી, તેણે કાવતરું છુપાવવા માટે તપાસ ખોટી કરી.
