Rajkot News : રાજકોટ (Rajkot) જિલ્લામાં જસદણ પાસે આવેલા ભાડલાના રણજીત ગઢમાં મોડી રાત્રે નશો કરી આવેલા પતિને પત્નીએ દારૂ પીવાની ના પાડતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ રોષે ભરાયેલા પતિએ લાકડી લઈ પત્નીને માથામાં આડેધડ લાકડીના ઘા ઝીકી દીધા હતા અને કાન કાપી નાખ્યો હતો, ત્યારબાદ આરોપી પતિ ભાગી ગયો હતો.
ખેતરમાં પાણી વાળવા ગયેલા બંને પુત્રો પરત ફરતા માતા લોહીલુહાણ હાલતમાં પડી હતી અને પિતા ગાયબ હોવાનુ જાણવા મળતા સ્થાનિકોની મદદથી બંને પુત્રોએ માતાને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. જ્યાં સારવાર દરમિયાન મહિલાએ દમ તોડી દેતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. આ ઘટના અંગે ભાડલા પોલીસે આરોપીને પકડી લેવા તજવીજ શરૂ કરી છે.
બનાવની વધુ વિગતો મુજબ રાજકોટ (Rajkot)ના જસદણ પાસે રણજીત ગઢમાં આવેલી અશ્વિનભાઈની વાડીમાં ખેતમજૂરી કરતા ભુરીબેન ધનસિંગભાઇ ડાવર (ઉ.વ. 4પ) નામની મહિલા રાત્રીના 2 વાગ્યે ખેતરમાંથી લોહીલુહાણ હાલતમાં તેમજ તેમનો કાન કપાયેલી હાલતમાં પડી હોવાનુ બંને પુત્રોને જાણવા મળ્યુ હતું. આ ઘટના અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બનાવની જાણ પોલીસને કરતા ભાડલા પોલીસે રાજકોટની સિવિલ હોસ્પિટલે પહોંચી મૃતકના પુત્રની ફરીયાદ પરથી હત્યાનો ગુનો નોંધી આરોપી પતિની શોધખોળ શરૂ કરી છે.
મૃતક ભુરીબેનના પરિવારજનોમાંથી વિગતો મળી હતી કે ભુરીબેનનો પરિવાર મુળ મધ્યપ્રદેશનો વતની છે. તેમજ ચાર મહિના પહેલા જ પરિવાર સાથે રણજીત ગઢમાં આવેલી અશ્વિનભાઈની ખેતરે ખેત મજુરી કરવા આવ્યા હતા. ગઇકાલે રાત્રીના સમયે તેમના બંને પુત્રો અનિલ અને સુનિલ ખેતરે પાણી વાળવા ગયા હતા અને ભુરીબેન ત્યા ખેતરમાં સુતા હતા, તે સમય દરમિયાન પતિ ધનસિંગ દારૂ ઢીંચીને આવ્યો હતો અને પત્ની સાથે માથાકુટ કરવા લાગ્યો હતો.
જેથી પત્નીએ તેમને દારૂ નહી પીવા અંગે જણાવતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. તેમજ ઉશ્કેરાયેલા આરોપી ધનસિંગે ત્યા પડેલી લાકડી વડે આડેધડ ભુરીબેનને માથાના ભાગે ઘા ઝીકી દીધા હતા. જેમાં તેઓને રાજકોટની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવતા ભુરીબેનને માથામાં ઈજા સાથે હેમરેજ થયાનું તબીબોએ અભિપ્રાય આપ્યો હતો. તેમની સારવાર ચાલુ હતી, ત્યારબાદ તેઓએ સારવાર દરમિયાન જ દમ તોડી દેતા આ બનાવ હત્યામાં પલ્ટાયો હતો. આ ઘટના અંગે રાજકોટ (Rajkot) જિલ્લાના ભાડલા પોલીસના સ્ટાફે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડી લેવા તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો: રાજકોટમાં બેસવા બાબતે થયેલા ઝગડામાં યુવકની જાહેરમાં હત્યા
આ પણ વાંચો: રાજકોટના જેતપુરમાં કળિયુગી પુત્રએ પિતાને માર્યો માર
આ પણ વાંચો: રાજકોટમાં ધોરાજી તાલુકાના તોરણીયા ગામની યુવતીની છરીના ઘા મારી હત્યા કરાતા ચકચાર