નવી દિલ્હી,
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી પાંચ વન-ડે મેચની શ્રેણીની ચોથી વન-ડે સોમવારે રમાવાની છે. ત્રીજી વન-ડેમાં કેરેબિયન ટીમને મળેલી શાનદાર જીત બાદ હાલમાં પાંચ મેચની શ્રેણી ૧-૧થી સરભર થઇ ગઈ છે.
બીજી બાજુ આ સિરીઝની વાત કરવામાં આવે તો, ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી હાલમાં પોતાના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ વન-ડે મેચમાં કોહલી ત્રણ સેન્ચુરી સાથે ૪૦૪ રન બનાવી ચુક્યો છે, ત્યારે હવે આ પ્રદર્શનને ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સુનિલ ગવાસ્કરે પ્રશંસા કરી છે.

સુનિલ ગવાસ્કરે કોહલી ખૂબી અંગે જણાવતા કહ્યું હતું કે, “ભારતીય કેપ્ટન ટાર્ગેટ હાંસલ કરતા સમયે કોહલી જે રીતે બેટિંગ કરે છે તે તેઓની ખાસ ખૂબી છે”.
ગવાસ્કરે વધુમાં જણાવતા કહ્યું, “વિરાટ કોહલી ન માત્ર દુનિયાના નંબર એક બેટ્સમેન છે, પરંતુ મોટો સ્કોરનો ટાર્ગેટ હાંસલ કરતા સમયે જે પ્રકારની પરિસ્થિતિઓમાં રન બનાવે છે તે ખુબ મહત્વનું છે”.
લક્ષ્ય હાંસલ કરવા મામલે કોહલી છે અવ્વલ નંબરે

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી પહેલા ૧૦,૦૦૦ રન બનાવનાર સુનિલ ગવાસ્કરે કહ્યું હતું કે, “હંમેશાની માટે પ્રથમ બેટિંગ કરતા બેટ્સમેન મોટો સ્કોર બનાવે છે. પહેલા બેટિંગ કરતા સમયે દબાણ ઓછું હોય છે, જયારે બીજી ઇનિંગ્સમાં સ્કોરિંગ રેટ ઓછો થઇ જાય છે. આ સમયે દિમાગ ઉપર રણનીતિ બનાવવાનું દબાણ હોય છે. કોહલીની આ જ ખાસ ખૂબી છે કે તેઓ લક્ષ્ય હાંસલ કરતા સમયે પુરા રંગમાં હોય છે”.
ભારતના લિટલ માસ્ટરે વધુમાં જણાવતા કહ્યું, “જે પ્રકારે કોહલી બીજી ઇનિંગ્સમાં પોતાની ઇનિંગ્સ રમતો હોય છે તે જોવાલાયક છે. જયારે કોઈ બેટ્સમેનને રેટિંગ આપવાની વાત આવે છે તો આ લિસ્ટમાં કોહલી અવ્વલ નંબરે આવે છે”.
કેપ્ટન વિરાટ કોહલી બનાવી શકે છે આ રેકોર્ડ

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી હાલમાં પોતાના સર્વશ્રેષ્ઠ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે. અત્યારસુધીમાં રમાયેલી ત્રણ વન-ડે મેચમાં કોહલી ત્રણ સેન્ચુરી સાથે ૪૦૪ રન બનાવી ચુક્યો છે.
સતત ત્રણ મેચમાં ૩ સદી ફટકાર્યા બાદ વિરાટ કોહલી ચોથી વન-ડે પણ સદી ફટકારે છે, તો ચાર મેચમાં ૪ સદી ફટકારનાર દુનિયાનો બીજો બેટ્સમેન બની શકે છે.
આ પહેલા શ્રીલંકાના પૂર્વ બેટ્સમેન કુમાર સંગાકારાએ ૨૦૧૫માં રમાયેલા વર્લ્ડકપમાં ચાર મેચમાં ૪ સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
