રાંચી,
ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ક્રિકેટરોમાંના એક એમ એસ ધોનીએ ક્રિકેટના માર્યાદિત ઓવરના ફોર્મેટમાં કેપ્ટનશીપ છોડવા અંગે એક ખુલાસો કર્યો છે.

હાલમાં ભારતીય ટીમના સૌથી સફળ વિકેટકીપર બેટ્સમેન ધોનીએ રાંચીના બિરસા મુંડા એરપોર્ટ પર આયોજિત CRPFના એક કાર્યક્રમમાં વન-ડે અને ટી-૨૦માં ટીમની કેપ્ટનશીપ છોડવા અંગે ખુલાસો કર્યો હતો.
૨૦૧૯ના વર્લ્ડકપ પહેલા જરૂરી હતું તૈયાર કરવી સંતુલિત ટીમ

આ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ધોનીએ પોતાના આ નિર્ણય અંગે કહ્યું, “હું એ ટીમની કમાન એટલા માટે છોડી કારણ કે પોતે ટીમના એક નવા કેપ્ટન (વિરાટ કોહલી)ને ૨૦૧૯માં રમનારા વર્લ્ડકપ પહેલા એક સંતુલિત ટીમ તૈયાર કરવા માટે જરૂરી સમય મળી રહે”.
નવા કેપ્ટનને જરૂરી સમય મળે એટલા માટે છોડી ટીમની કમાન
૩૭ વર્ષીય એમ એસ ધોનીએ જણાવ્યું હતું કે, “ટીમના નવા કેપ્ટનને પર્યાપ્ત સમય આપ્યા વિના એક મજબૂત ટીમની પસંદગી કરવી એ સંભવિત ન હતી. મારું માનવું છે કે, હું એ ક્રિકેટના મર્યાદિત ઓવરમાં એક યોગ્ય સમયે જ ટીમની કેપ્ટનશીપ છોડી હતી”.

આ ઉપરાંત હાલમાં ઈંગ્લેંડમાં રમાયેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં ભારતીય ટીમના પ્રદર્શન અંગે પણ ધોનીને પૂછવામાં આવ્યું હતું. આ અંગે તેઓએ કહ્યું, “અભ્યાસ મેચોની કમી હોવાના કારણે ભારતીય બેટ્સમેનોને વિપરીત પરિસ્થિતિ સાથે પસાર થવું પડ્યું હતું”.

મહત્વનું છે કે, એમ એસ ધોનીની ગણના ભારતના ક્રિકેટ ઇતિહાસના સૌથી સફળ કેપ્ટનોમાં થાય છે. આ ઉપરાંત “કેપ્ટન કુલ” તરીકે ઓળખાતા એમ એસ ધોનીને હંમેશા અચાનક જ નિર્ણયો લેવા માટે જાણવામાં આવે છે.
ડિસેમ્બર, ૨૦૧૪માં એમ એસ ધોનીએ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન અચાનક જ ટેસ્ટ મેચમાંથી કેપ્ટનશીપ છોડી હતી. સાથે સાથે તેઓએ ટેસ્ટ ક્રિકેટને પણ અલવિદા કહ્યું હતું.
