અમરાવતી,
૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચુંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી તેના સંલગ્ન NDA ગઠબંધનમાં મતભેદ જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્ર સરકારમાં સાથી પક્ષ શિવસેનાએ આગામી લોકસભાની ચુંટણીમાં એકલા હાથે ચુંટણી લડવાની ઘોષણા કરી છે. ત્યારબાદ આંધ્રપ્રદેશમાં NDAના સાથી પક્ષ ટીડીપીના મતભેદોને લઇ સીએમ અને તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રાબાબુ નાયડુના નિવાસે નેતાઓની મળી બેઠક મળી છે. આ બેઠકમાં NDA સાથેના ગઠબંધન તોડવાના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી હોવાનું સુત્રોએ જણાવ્યું છે. બેઠકમાં પહોચેલા સાંસદ રવિંદર રેડ્ડીએ જણાવ્યું હતુ કે, “મુખ્યમંત્રી જે પણ કહેશે, તેના માટે અમે તૈયાર છીએ”.
નાણા મંત્રી અરુણ જેટલીએ રજુ કરેલા અંતિમ બજેટમાં આંધ્ર પ્રદેશ રાજ્યમાં નાણાની ફાળવણીને લઇ અવગણના કરવામાં આવી છે. અ મુદ્દાને લઇ તેલુગુદેશમ પાર્ટી ભાજપ વિરુદ્ધ મોરચા માંડવાની તૈયારીમાં છે. આ પહેલા પણ તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ અને આંધ્રપ્રદેશમાં મુખ્યમંત્રી એન.ચંદ્રાબાબુ નાયડુએ બજેટ બાદ તાત્કાલિક મીટીંગ બોલાવી હતી.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ દેશના ભાજપની આગેવાનીમાં એકત્ર થયેલા NDA માં હવે ભંગાણની શરૂઆત થઈ ચુકી છે. જેમાં પણ ભાજપ સાથે વર્ષોથી NDA માં સામેલ રહેલી શિવસેનાએ છેડો ફાડી લેવાનો નિર્ણય કર્યો છે. શિવસેનાએ પણ ગત મહીને તેમની એક મહત્વની બેઠકમાં નિર્ણય લીધો હતો કે વર્ષ ૨૦૧૯માં યોજાનારા વિધાનસભા અને લોકસભા ચુંટણી તે એકલા હાથે લડશે.
