તેલંગણાની (Telangana) વિધાનસભાએ તાજેતરમાં ઓબીસીને 42 ટકા અનામત (OBC Reservation) આપવાની વૈધાનિક જોગવાઈ પસાર કરી છે…. અત્યાર સુધી આ ટકાવારી 23 ટકા હતી…. તેલંગણામાં કોંગ્રેસ સત્તા પર આવી તેનું એક મુખ્ય કારણ આ પણ હતું કે તેણે ઓબીસી અનામત 23 ટકાથી વધારી 42 ટકા કરવાનું વચન આપ્યું હતું….આના પગલે સ્થાનિક સ્તરે શિક્ષણથી લઈને રોજગારમાં ઓબીસીને 42 ટકા અનામતનો લાભ મળશે…. હવે કોઈને પણ થાય કે તેલંગણાએ અમલી બનાવેલી અનામતને ગુજરાતને શું લાગે વળગે, પણ તેલંગણાએ પસાર કરેલા કાયદાની અસર છેક ગુજરાત સુધી અનુભવાઈ છે….
ગુજરાતમાં OBC નેતા નવઘણજી ઠાકોરે (Navaghanji Thakor) હવે ગુજરાતમાં પણ તેલંગણાની જેમ OBCને 42 ટકા અનામત આપવાનો મુદ્દો ઉપાડ્યો છે…. ગુજરાતમાં અનામતનો મુદ્દો આમ પણ સંવેદનશીલ વિષય રહ્યો છે…. 1984ના અનામત આંદોલન અને તેના પછી 2015માં થયેલું પટેલ આંદોલન અનામત માટે જ હતું. ગુજરાતમાં હાલમાં OBCને 27 ટકા અનામત મળે છે, અનુસૂચિત જનજાતિ (એસટી)ને 15 ટકા અને અનુસૂચિત જાતિ (એસસી)ને સાત ટકા અનામત મળે છે…. આ રીતે કુલ 49 ટકા અનામત આપવામાં આવે છે. હવે OBCને એકલાને જ 42 ટકા અનામત આપવામાં આવે તો આખું સમીકરણ જ વિખેરાઈ જાય તેમ છે….
હવે સવાલ એ છે કે રાજ્યમાં હાલમાં OBCને 42 ટકા અનામત આપી તો શક્ય છે, તેની સામે તરત જ બીજો સવાલ કરવામાં આવી શકે છે કે જો તેલંગણામાં કોંગ્રેસ 42 ટકા OBC અનામત આપી શકતી હોય તો ગુજરાતમાં તે કેમ ન આપી શકાય…. હવે ગુજરાતની કુલ વસ્તીમાં OBCનો હિસ્સો 40 ટકા છે. તેમા પણ તેમને 27 ટકા અનામત તો આપવામાં આવી ચૂક્યું છે… આમ કદાચ બહુ-બહુ તો માંડ 13 ટકા હિસ્સો જ તેની બહાર કહી શકાય…. હવે અનામત માંગનાર પણ સમજતા હશે કે 42 ટકા તો મળવાનું જ નથી, પણ આટલી મોટી માંગ કરીએ તો ક્યાંક હાલમાં મળતી 27 ટકા અનામત વધીને 30 ટકા કે તેનાથી પણ વધી જઈ શકે…. બીજા શબ્દોમાં કહીએ તો તેઓ OBCના નોંધપાત્ર હિસ્સાને અનામતમાં આવરી લેવા માંગે છે…..
તેની સામે તેલંગણામાં જોઈએ તો તેની લગભગ ચાર કરોડની વસ્તીનો 56 ટકાથી વધુ હિસ્સો OBC છે… તેથી અહીં આપવામાં આવેલું 42 ટકા અનામત ઘણા અંશે યોગ્ય કહી શકાય…. જો કે નવઘણજી ઠાકોરનો દાવો છે કે ગુજરાતમાં પણ તેલંગણાની જેમ 54 ટકા વસ્તી OBCની છે, તો તેને પણ 54 ટકા ઓબીસી અનામત મળવું જોઈએ…. તેની સાથે તેમણે રીતસરની ચીમકી પણ આપી છે કે જો આટલું અનામત નહીં આપવામાં આવે તો ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના કાર્યકરોથી લઈને ધારાસભ્યોને OBC વસ્તીવાળા વિસ્તારોમાં ઘૂસવા નહીં દેવાય….
તેની સાથે તેમમે અપીલ કરી હતી કે ગુજરાત વિધાનસભાના વર્તમાન સત્રમાં અને તેમા ન લાવી શકાય તો આગામી સત્રમાં 54 ટકા OBC અનામતનું બિલ લાવવામાં આવે…. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં OBC સમાજના રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, સરકારી કર્મચારીઓ બધાને ઓબીસી અનામત માટે મચી પડવા અપીલ કરી હતી….તેમનું કહેવું હતું કે OBC સમાજના દરેક ક્ષેત્રમાં આગળ રહેલા લોકો 54 ટકા અનામતને લઈને આગળ આવે અને સરકાર પર દબાણ ઊભું કરે….
નવઘણજી ઠાકોરની માંગે ગુજરાતમાં ફક્ત સામાજિક ક્ષેત્રમાં જ નહીં પણ રાજકીય ક્ષેત્રે પણ ભૂકંપ સર્જયા છે….હવે કોઈને પણ સવાલ એમ થાય કે શું તેલંગણાએ અનામત આપી એટલે કે ગુજરાતે અનામત આપવાની, આ સિવાય મહારાષ્ટ્રમાં પણ મરાઠા અનામતની માંગ ચાલે છે, એટલે ગુજરાતે પણ ઓબીસી અનામત આપવાનું. આવી અનામતની માંગ તો દર મહિને દેશના કોઈને કોઈ ખૂણે ચાલતી જ રહેવાની છે, પણ તેના પડઘા ગુજરાતમાં પાડવાની ક્યાં જરૂર છે…
અગાઉ 2017ની વિધાનસભા ચૂંટણીમાં પટેલ સમાજના આંદોલને અનામતનો ટ્રેન્ડ સેટ કરવામાં સફળતા મેળવી હતી હવે આ જ રીતે ગુજરાતમાં બે વર્ષ પછી વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે ત્યારે તેના માટે આ જ ફરી પાછું અનામતનું ભૂત ચગ્યું છે…. શું આગામી વિધાનસભા ચૂંટણી માટેનો ટ્રેન્ડ અત્યારથી જ સેટ કરવાની આ તૈયારી ચાલી રહી છે….આમ દાયકા પછી ગુજરાત શું ફરી પાછું 2017માં હતું તે જ સ્થિતિ પર આવીને ઊભું હશે….
આમ 54 ટકા OBC અનામતની માંગ ગુજરાતમાં ફરી પાછી અનામતની આગ લગાડશે. ગુજરાત એક દાયકા પહેલા તો આંદોલનની આગમાં દાઝી ચૂક્યું છે, હવે શું રાજ્યને ફરી પાછું અનામતની આ જ આગમાં ઝોંકવાનો કારસો રચાઈ રહ્યો છે. ક્યાંક પાછું એવું તો નથીને કે અનામતની તો ફક્ત વાતો જ છે, પરંતુ તેના આધારે દાયકા અગાઉ જે લોકોએ પોતાના રાજકીય રોટલા શેકી લીધા હવે ફરીથી આ જ મોડેલને અનુસરીને બીજા લોકો તેમની રાજકીય કારકિર્દી ઘડવા માંગે છે…
આજે તેઓ 27 ટકાથી સીધી બમણી 54 ટકા અનામતની માંગ કરે છે તો તેના માટે તેમણે કોઈ આધાર લીધો છે…. આ તો જેટલી વસ્તી હોય તેટલી અનામત માંગવાની એવું ક્યાંય લખ્યું નથી….અનામત ફક્ત પછાતો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા આદિવાસીઓ માટે જ છે, બીજા માટે નથી છતાં પણ 27 ટકા અનામત સરકારે આપી છે… હવે તેનાથી બમણી અનામત મંગાઈ છે… આ અનામતની માંગ કરનારા તો કદાચ પોતાની રાજકીય પૃષ્ઠભૂમિ રચી લેશે, પરંતુ તેની પાછળ જીવન ગુમાવનારાઓનું શું, તેઓના કુટુંબીઓનું શું તેનો તેમની પાસે કોઈ જવાબ નથી… બસ તેઓએ લોકોને બહેકાવીને પોતાની મહત્વાકાંક્ષાઓ પૂરી કરવી છે….
આ પણ વાંચો: અમારા મૌનને અમારી નબળાઈ ના સમજોઃ વિક્રમ ઠાકોર
આ પણ વાંચો: 76 લાખ કુટુંબો સરકારી અનાજ પર, 180 ધારાસભ્યોની સંપત્તિ 3,000 કરોડ
આ પણ વાંચો: DRI-ગુજરાત ATSને અમદાવાદમાં મળી ‘સોનાની ખાણ’