રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ઘણી વાર બેદરકારીના કારણે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે, ગોંડલ શહેરમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે જેમાં વૃદ્ધાનું મોત નીપજ્યું છે. ગોંડલ એસટી ડેપોમાં એસટી બસનું વ્હીલ અજાણ્યા વૃદ્ધા પર ફરી વળતાં ઘટનાસ્થળે જ વૃદ્ધાનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યુ છે.
આ સમગ્ર ઘટનાની જાણ ગોંડલ સિટી પોલીસને થતાં ગોંડલ સિટી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. તેમજ જરૂરી પંચનામાની કાર્યવાહી કર્યા બાદ વૃદ્ધાના મૃતદેહના ગોંડલની સરકારી હોસ્પિટલમાં આવેલ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હોવાનું જાણવા મળ્યું હતું .
ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસ દ્વારા લોકોના ટોળા વિખેરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે ગોંડલ સિટી પોલીસ દ્વારા ગુનો દાખલ કરી કાયદાકીય પ્રક્રિયા આગળ વધારવામાં આવે છે. આ ઉપરાંત સમગ્ર મામલે મૃતક વૃદ્ધાની ઓળખ મેળવવા તેમજ આગળની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે.
