Jamnagar News : અરબી સમુદ્રમાં કેન્દ્રિત થયેલા વાવાઝોડાના પગલે જામનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. જિલ્લાના તમામ બંદરો પર ત્રણ નંબરના ભયસૂચક સિગ્નલો લગાવવામાં આવ્યા છે. દરમિયાન જામનગર ગ્રામ્ય અને શહેરના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા છે, ઉપરંત પ્રતિ કલાકની 30થી 35 કિલોમીટર ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.
સમગ્ર કચ્છની સાથે જામનગર શહેર અને જિલ્લામાં પણ હવામાનમાં પલટો જોવા મળ્યો છે. આકાશમાં વાદળો છવાયેલા છે, જેના કારણે આજે સવારે જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યા હતા. વાદળછાયું વાતાવરણ યથાવત હોવાથી વધુ વરસાદની શક્યતા છે.ગઈકાલે જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં પણ કમોસમી વરસાદી ઝાપટાં પડ્યા હતા. જામજોધપુર તાલુકાના મોટી ગોપ, કરસનપર અને ધૂનડા, સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે રાત્રે 8:30 વાગ્યા બાદ અડધો કલાક સુધી ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો હતો. આનાથી સ્થાનિક ખેડૂતોમાં ચિંતા પ્રસરી હતી, જોકે બાદમાં વરસાદ રોકાઈ ગયો હતો.
અરબી સમુદ્રમાં સક્રિય થયેલા વાવાઝોડાને કારણે હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને વધુ વરસાદની આગાહી કરી છે. આ અનુસંધાને જામનગર જિલ્લામાં આજે સોમવારે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જોડિયા, સચાણા, સિક્કા સહિતના બંદરો પર ત્રણ નંબરના ભયસૂચક સિગ્નલ લગાવી દેવાયા છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
આજે સવારે 8:00 વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 22.0 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, એમ જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના કંટ્રોલરૂમ દ્વારા જણાવાયું હતું. ભેજનું પ્રમાણ વાતાવરણમાં 99 ટકા રહ્યું હતું, જ્યારે 30 થી 35 કિલોમીટર પવનની ગતિ પ્રતિ કલાકની ઝડપે રહી હતી.
આ પણ વાંચો: Jamnagar News/જામનગરમાં BJP-Congress ના કાર્યકર્તાઓ બાખડયા: કોંગ્રેસ પ્રમુખ સહિત 2 ની તબિયત લથડતાં હોસ્પિટલમા
આ પણ વાંચો: Jamnagar News/જામનગરમાં ઝુપડપટ્ટી સહિતના વિસ્તારમાં દારૂના ધંધાર્થીઓ પર પોલીસનું મેગા કોમ્બિંગ ઓપરેશન
આ પણ વાંચો: Jamnagar News/જામનગર શાળા આરોગ્ય તપાસણી: 220 બાળકો ગંભીર બીમારીથી પીડિત
