Amreli News: અમરેલી જિલ્લામાં ભાવનગર-સોમનાથ હાઇવે પર થયેલા અકસ્માતમાં એક યુવકનું મોત થયું હતું. મોડી રાત્રે બાઇક અને ટ્રક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત થયું હતું. હાઇવે પર બંધ પડેલી ટ્રકમાં કોઈપણ પ્રકારની લાઇટ અને કશું જ ન હોવાથી પૂરઝડપે આવતો બાઇક સવાર ટ્રકને અથડાયો હતો.
આ ઘટનાને નજરે જોનારાઓનું કહેવું હતું કે હાઇવે પર ટ્રક બંધ પડી ગઈ હતી અને અંધારામાં ઊભી હતી. આ રસ્તા પર કોઈ લાઇટ ન હતી. ટ્રક બગડી હોવાથી તેનું રિપેરિંગ કામ ચાલી રહ્યુ હતુ. આશ્ચર્યની વાત એ હતી કે આ બંધ પડેલી ટ્રકના કોઈપણ પ્રકારના ઇન્ડિકેટર ચાલતા ન હતા. તેના લીધે તેમાં કશું જ દેખાતું ન હતું.
આ સમયે બાઇકસવાર રાત્રે રસ્તા પર કોઈપણ વાહન ન હોઈ ફુલ સ્પીડમાં જતો હતો. તેને ટ્રક ન દેખાતા તે સીધો ટ્રકમાં ઘૂસી જતાં તેનું ઘટનાસ્થળે કરૂણ મોત થયું હતું. આ બનાવના પગલે પીપાવાવ મરીન પોલીસ તેમજ 108 ઘટનાસ્થળે દોડી આવી હતી. યુવકના પ્રાણ બચાવવા માટે 108ના સ્ટાફે પૂરતા પ્રમાણમાં પ્રયત્નો કર્યા હતા, પરંતુ તેનો જીવ બચાવી શકાયો ન હતો. પોલીસે યુવાનનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને તે કોણ હતો તેની તપાસ આદરી છે. તેના મોબાઇલ ફોન પરથી તેના સગાસંબંધીઓને જાણ કરી દેવાઈ છેઅને મૃતદેહ પોસ્ટમોર્ટમ પછી સુપ્રદ કરાશે તેમ જણાવાયું છે.
તેની સાથે હાઇવે પર બંધ પડેલી ટ્રકને પણ પોતાના જાપ્તામા લીધી છે. આ ટ્રકના ડ્રાઇવરને અટકાયતમાં લેવાયો છે અને બંધ પડેલા વાહનના કોઈપણ પ્રકારના ઇન્ડિકેટર ચાલુ કેમ ન હતા તે કારણસર તેને હવે કસ્ટડીમાં રાખવામાં આવશે. પોલીસ ડ્રાઇવરની પૂછપરછ કરીને ટ્રક બંધ પડવાના કારણો પણ જાણી રહી છે. તેની સાથે ટ્રક કયા પાસિંગની છે અને તેની પાસે કઈ-કઈ પ્રકારની પરમિટ છે તે બધાની જ ચકાસણી કરી રહી છે.