હૈદરાબાદઃ આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં એક ખાનગી બસ પુલથી નહેરમાં ખાબકી જતા 11 લોકોના મોત થયા છે. જ્યારે 30 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ બસનો ડ્રાઈવર ઊંઘમાં હતો જેના પગલે તે બસ પર કાબુ રાખી શક્યો નહીં. બસ ભૂવનેશ્વરથી હૈદરાબાદ જઈ રહી હતી.
માધ્યમોના અહેવાલો મુજબ આ ઘટના મંગળવારે સવારે 5.30 વાગ્યે ઘટી હતી. ભૂવનેશ્વરથી હૈદરાબાદ જતી આ બસમાં કુલ 38 લોકો સવાર હતાં. બસમાં મોટા ભાગના મુસાફરો હૈદરાબાદ, શ્રીકાકુલમ, વિશાખાપટ્ટનમ અને ભૂવનેશ્વરના હતાં. 1000 કિમીની મુસાફરીમાં બસનું વિજયવાડામાં સ્ટોપેજ હતું જ્યાં ડ્રાઈવર પણ બદલાયા હતાં. સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ બસ એક પુલ પરથી પસાર થઈ રહી હતી. પુલ પર આવવા જવા માટે અલગ અલગ લેન હતી અને વચ્ચે ગેપ હતો. પુલ પરથી પસાર થતી બસ આ ગેપની અંદર પડી ગઈ. ડેપ્યુટી સીએમ એન ચીના રાજપ્પાએ કૃષ્ણા જિલ્લાની પોલીસને ઝડપથી રેસ્ક્યુ ઓપરેશન કરવા જણાવ્યું હતું.