Ahmedabad News: અમદાવાદમાં ગાંધીજીના આશ્રમમાં ખાનગી કાર્યક્રમ યોજાતા વિવાદ (Controversy) સર્જાયો છે. અમદાવાદના કોચરબ ખાતેના ગાંધીજીના આશ્રમમાં લગ્નનો કાર્યક્રમ યોજાયો હતો. લગ્ન જેવા કાર્યક્રમ માટે મંજૂરી કોણે આપી હતી તે સવાલ સર્જાયો છે. ડીજે સહિતના ફિલ્મી ગીતો સાથેનો કાર્યક્રમ ગાંધીઆશ્રમ (Gandhi Ashram)માં યોજાતા વિવાદ (Controversy) થયો છે. તેમા પણ તેનો આખો વિડીયો વાઇરલ થવાના કારણે ચોમેર ચર્ચા જાગી છે. કોંગ્રેસ (Congress)ના પ્રવક્તાએ મનીષ દોશી (Manish Doshi)એ જણાવ્યું હતું કે હવે આ જ બાકી રહી ગયું હતું. ગાંધીજીના આશ્રમને ખાનગી ફંકશનો માટે ભાડે આપી દેવાયો હોય તેવી વાત લાગે છે.
લગ્ન સમારોહ યોજાતા Controversy
અમદાવાદમાં મહાત્મા ગાંધી (Mahatma Gandhi) દ્વારા સ્થાપિત કોચરબ આશ્રમમાં યોજાઈ રહેલા લગ્ન સમારોહ અંગે ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. લગ્ન સમારોહનો એક વીડિયો વાયરલ થયો છે. મહેમાનો ડીજે પર “કજરા રે…કજરા રે…” જેવા ગીતો પર નાચતા જોવા મળી રહ્યા છે. વધુમાં, એવું જોવા મળ્યું છે કે ત્યાં રાત્રિભોજન પણ યોજાયું હતું.
ગુજરાત યુનિવર્સિટી (Gujarat University)ના કર્મચારીના પુત્રના લગ્ન કોચરબ આશ્રમમાં થયા હતા. ગઈકાલે એક સંગીતમય સાંજનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે પણ લગ્ન યોજાયા હતા. કોચરબ આશ્રમમાં આ કાર્યક્રમ હજુ પણ ચાલુ છે. આ અંગે એવો દાવો કરવામાં આવ્યો છે કે આ કાર્યક્રમ માટે આશ્રમ ગુજરાત યુનિવર્સિટીના કર્મચારીઓને ભાડે આપવામાં આવ્યો હતો.
કોંગ્રેસ પાર્ટીએ આ મામલે ગંભીર આરોપો લગાવ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ગાંધીજીની વિચારધારાને નબળી પાડવામાં આવી છે. આ વીડિયો વાયરલ થતાં જ અધિકારીઓ સામે આ કાર્યક્રમ કોની પરવાનગીથી યોજાયો હતો તે અંગે પ્રશ્નો ઉભા થયા છે.
ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે જ્યારે ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા ફર્યા, ત્યારે તેઓ પહેલા કોચરાબના આશ્રમમાં રોકાયા હતા. આ પછી, કોચરાબ આશ્રમ સત્યાગ્રહ આશ્રમ તરીકે જાણીતો બન્યો. કોચરાબ આશ્રમમાં તમામ પ્રકારના મોટા કાર્યક્રમો યોજાતા હતા. ત્યારબાદ, ગાંધીજી સાબરમતી આશ્રમમાં આવ્યા હતા. કોચરાબ આશ્રમ ગાંધીજી અને સત્યાગ્રહનો ઐતિહાસિક વારસો છે. અધિકારીઓએ ગાંધીજીના વારસાને નુકસાન પહોંચાડ્યું છે.
વધુમાં, ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગાંધીજીના વારસાને નુકસાન પહોંચાડતી કોઈપણ કાર્યવાહી નિંદનીય છે. અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા પગલાં અક્ષમ્ય છે. આ ઐતિહાસિક વારસાનું સન્માન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગાંધીજીના વારસાને નુકસાન પહોંચાડવા માટે એક ઇરાદાપૂર્વકની યોજના ઘડી રહી છે. આ નુકસાન ભાજપના અધિકારીઓ અને દેશના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
