Kharicut Canal Project Ahmedabad Controversy: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારની કાયાપલટ કરવા માટે ચાલી રહેલા રૂ. 1200 કરોડના ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં મોટો અવરોધ આવ્યો છે. દસ્ક્રોઈના ભાજપના ધારાસભ્ય બાબુ જમના પટેલની રજૂઆત બાદ સિંચાઈ વિભાગે કેનાલમાં પાણી છોડી દેતા ચાલુ કામગીરી અટકાવવી પડી છે. આશ્ચર્યની વાત એ છે કે, માત્ર 15 દિવસમાં પૂર્ણ થઈ જાય તેવું 50 મીટરનું કામ બાકી હતું ત્યાં જ મશીનરી બહાર કાઢવાની નોબત આવી છે.

શું છે Kharicut Canalનો સમગ્ર વિવાદ?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ખારીકટ કેનાલ (Kharicut Canal)ને બોક્સમાં ફેરવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી હતી. રબારી કોલોની પાસે ભાવના સ્કૂલ નજીક માત્ર 50 મીટરનું બોક્સ નાખવાનું કામ બાકી હતું. જોકે, ખેડૂતોને સિંચાઈ માટે પાણીની જરૂર હોવાની રજૂઆત સાથે ધારાસભ્ય બાબુ જમના પટેલે દબાણ કરતા સિંચાઈ વિભાગે પાણી છોડી દીધું હતું. કેનાલમાં પાણી આવતા જ કોન્ટ્રાક્ટરે ઉતાવળે મશીનો અને સામાન બહાર કાઢવો પડ્યો હતો.

ધારાસભ્યનું કડક વલણ: ‘ભલે કામ બંધ રહે, ખેડૂતોને પાણી આપો’
આ મામલે ધારાસભ્ય બાબુ જમના પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, “ખારીકટ કેનાલ (Kharicut Canal) નો પ્રોજેક્ટ છેલ્લા ચાર વર્ષથી ચાલી રહ્યો છે. ખેડૂતોને અગાઉ બે વર્ષ પાણી નહીં મળે તેમ કહેવાયું હતું, પરંતુ હવે પાંચ વર્ષ થવા આવ્યા છતાં કામ પૂરું થયું નથી. ખેડૂતોના હિત માટે કામગીરી ભલે બંધ કરવી પડે, પણ તેમને પાણી મળવું જોઈએ. મેં બે મહિના સુધી પાણી ચાલુ રાખવા રજૂઆત કરી છે.”

તંત્રની મુશ્કેલી અને આર્થિક નુકસાનની ભીતિ
AMCના અધિકારીઓના મતે, જો 15 દિવસ પાણી ન છોડાયું હોત તો નીચેના બોક્સની કામગીરી સંપૂર્ણ પૂરી થઈ ગઈ હોત. અત્યારે સ્થિતિ એવી છે કે કેનાલની અંદર બાંધકામ માટે મુકવામાં આવેલા ટેકા, માટી અને અન્ય સામાન અંદર જ છે અને તેની ઉપરથી પાણી વહી રહ્યું છે. ધારાસભ્યએ કોન્ટ્રાક્ટરોની ઢીલી કામગીરી બદલ તેમને દંડ કરવાની પણ માંગ કરી છે.
આ પણ વાંચો: પાટણ જિલ્લામાં નર્મદા નિગમમાં પાણી છોડવા અને કેનાલની સફાઈની ખેડૂતોની માંગ
આ પણ વાંચો: પાટણમાં સરસ્વતી નદીમાં ડૂબી જતા બે સગી બહેનો સહિત ત્રણના મોત
આ પણ વાંચો: કડીમાં 14 વર્ષીય વિદ્યાર્થીનો મૃતદેહ કેનાલમાંથી મળ્યો
