નવી દિલ્હી
કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના સંસદીય ક્ષેત્ર રાયબરેલીનો પ્રવાસ હવે વધુ સરળ બનવા જઈ રહ્યો છે. કારણકે, લખનઉ-રાયબરેલી રાષ્ટ્રીય ધોરીમાર્ગને સીક્સ લેન બનાવવામાં આવશે. આ દિશામાં હાઈ-વેના સર્વેની કામગીરી પણ શરુ કરવામાં આવી છે. એવુ પણ જાણવા મળી રહ્યુ છે કે, કેન્દ્રની મોદી સરકાર ૨૦૧૯ની લોકસભા ચુંટણી પહેલા આ હાઈ-વેનુ લોકાર્પણ કરી લોકોને મોટી ભેટ આપવા માંગે છે.
સુત્રોના જણાવ્યા મુજબ, સીક્સ લેન હાઈ-વેના નિર્માણને નેશનલ હાઈ-વે ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા અંતિમ રુપ આપવાનુ કામ શરુ કરી દેવામાં આવ્યુ છે. માત્ર તેની ઔપચારિક જાહેરાત કરવાની જ બાકી રહી છે. સુત્રોના જણાવ્યા મુજબ, આ હાઈવે આશરે ૮૦ કિલોમીટર લાંબો હશે. જે ઉત્તરપ્રદેશની યોગી સરકાર અને કેન્દ્ર સરકારની વોટરોને આકર્ષવાની રણનીતિ માનવામાં આવી રહી છે. આ ઉપરાંત સુત્રોનું કહેવુ છે કે મોદી સરકાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના સંસદીય વિસ્તાર બરેલીમાં વિકાસકાર્યોને હાથ ધરી કોંગ્રેસના ગઢમાં મોટુ ગાબડુ પાડવા અંગે વિચાર કરી રહી છે. બરેલીમાં કેટલાક વિકાસકાર્યો માટે કેન્દ્ર સરકાર ટૂંકમાં જ કોઈ જાહેરાત કરે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
મહત્વનું છે કે, રાહુલ ગાંધીના મત વિસ્તાર અમેઠીમાં પણ ભાજપ પણ પોતાની પકડ ધીરે ધીરે મજબુત કરી રહ્યુ છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ અવાર-નવાર અમેઠી અને રાયબરેલીના વિકાસને લઈ કોંગ્રેસ પર વાર કરતા રહે છે.
