અબુધાબી,
પશ્ચિમ અશિયાઈ દેશોની ચાર દિવસીય વિદેશ યાત્રા પર ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પેલેસ્ટાઇનના રામલ્લાહ પહુંચ્યા છે. દુનિયાભરમાં એક સંવેદનશીલ માનવામાં આવી રહેલા આ દેશની યાત્રા કરનારા મોદી પહેલા પ્રધાનમંત્રી છે. ત્યારબાદ તેઓ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ની મુલાકાતે પહોંચ્યા છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી ઓપેરા હાઉસમાં ભારતીય મૂળના લોકોને સંબોધિત કરશે સાથે સાથે ત્યાંથી જ વિડીયો કોન્ફરન્સ દ્વારા અબુધાબીમાં બનેલા પ્રથમ હિંદુ મંદિરનું ઉદ્ઘાટન કરશે.
શનિવાર રાત્રે અબુધાબી પહોંચ્યા બાદ પીએમ મોદીએ ત્યાના યુવરાજ મોહમ્મદ બિન જાયદ-અલ નાહ્યાન સાથે વાતચીત કરી હતી. રવિવારે દુબઈમાં તેઓ વર્લ્ડ ગવર્મેન્ટ સમિટમાં વિકાસ માટે ટેકનોલોજીના વિષય પર ભાષણ આપશે. આ વર્ષે, આ પરિષદમાં ભારત એક ખાસ મહેમાન છે. આ ઉપરાંત આ સમિટમાં ૧૪૦થી વધુ દેશો ભાગ લઈ રહ્યા છે.
ઉલ્લેખનિય છે કે, પીએમ મોદીની યુએઈની બે દિવસીય યાત્રા ખૂબ મહત્વની ગણવામાં આવી રહી છે. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ૧૪ મહત્વના કરારો પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. આ પહેલા શનિવારે રાત્રે મંદિર સમિતિના સભ્યોએ સ્વામિનારાયણ મંદિરને લગતું સાહિત્ય પ્રધાનમંત્રી મોદીને પ્રસ્તુત કર્યું હતું.