વડોદરા,
વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ કૌભાંડ મામલે સોમવારે બપોરે ભારે તંગદિલી ફેલાઇ હતી. પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓએ બિલ્ડરની ઓફિસે પથ્થરમારો અને તોડફોડ કરતાં મોટી પોલિસની કુમક ઘટના સ્થળે પહોંચી હતી.
સંજયનગરની ઝુપડપટ્ટી તોડી નંખાયા પછી અહીના અસરગ્રસ્તોને ત્રણ મહિનાનું 2000 રૂપિયા જેટલું ભાડું ચુકવવાનું બાકી રહ્યું હતું. સંજયનગર ઝુંપડપટ્ટીના અસરગ્રસ્ત સીમાબહેન રાઠોડ કહે છે, કે અમને મકાન પણ નથી મળ્યું કે ભાડું પણ નથી મળ્યું. હવે અમારે અમારી જગ્યા પાછી જોઇએ છે.
વડોદરાની જાણીતી ઝુંપડપટ્ટી સંજયનગરની જગ્યા પર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1800 જેટલા મકાનો બનાવવાના હતા. આ મકાનો પુર્ણ ના થાય ત્યાં સુધી આ યોજનાના લાભાર્થીઓને ભાડુ ચુકવવાનું નક્કી થયું હતું. જો કે બિલ્ડરે લાભાર્થીઓને ભાડુ ચુકવવાનું બંધ કરતા મામલો બિચક્યો હતો.
એકઠી થયેલી ભીડે બિલ્ડર સાંઇરૂચી અને ડીએમસીની ઓફિસ પર પત્થરમારો અને તોડફોડ કરી હતી. આ હુમલામાં એક મીડીયાકર્મી કેમેરામેન ધર્મેશ જોબનપુત્રા પણ ઘવાયો હતો.

વડોદરામાં વારસિયા વિસ્તાર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે મકાનો બનાવવાના હતા. તેનો કોન્ટ્રેક્ટ નારાયણ રિયાલીટીનો સોંપાયો હતો.નારાયણ રિયાલીટીના જોઇન્ટ વેન્ચરમાં સાંઇરૂચિ અને ડીએમસી બિલ્ડર કામ કરતા હતા. જો કે આ કોન્ટ્રેક્ટ સોંપાયા પછી બિલ્ડરોએ મકાન બાંધવાનું કામ સમયસર શરૂ ના કરતા વડોદરાના કમિશનર વિનોદ રાવે આ મામલે બિલ્ડરોને નોટિસ આપી હતી.
જો કે થોડા સમય પહેલાં વડોદરાના કમિશનર વિનોદ રાવે આ મામલે બિલ્ડરને નોટિસ આપી હતી. બિલ્ડરે નોટિસ મળ્યા પછી લાભાર્થીઓને ભાડું આપવાનું બંધ કર્યું હતું. બિલ્ડરે ભાડુ આપવાનું બંધ કરતા લાભાર્થીઓએ સાઇરૂચિની ઓફિસ પર ભારે હંગામો કર્યો હતો.
