કોલંબો,
શ્રીલંકામાં રમાઈ રહેલી નિદહાસ ટી-૨૦ ત્રિકોણીય શ્રેણીમાં સોમવારે રમાયેલા ચોથા મુકાબલામાં ભારતીય ટીમે શાનદાર વિજય મેળવ્યો છે. કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં શ્રીલંકા દ્વારા આપવામાં આવેલા ૧૫૩ રનના લક્ષ્યાંકને ૧૮.૩ ઓવરમાં વટાવી ભારતે ૬ વિકેટે વિજય મેળવ્યો હતો. આ સાથે જ ભારતે પોઈન્ટ ટેબલમાં ૨ જીત અને ૪ પોઈન્ટ સાથે શીર્ષ સ્થાન હાંસલ કરી લીધું છે તેમજ શ્રેણીની ફાઈનલમાં પ્રવેશવા માટે પણ પોતાની દાવેદારી મજબૂત કરી લીધી છે. ભારતના શાર્દુલ ઠાકુરને કારકિર્દીનું બેસ્ટ પ્રદર્શન કરતા “મેન ઓફ ધ મેચ” જાહેર કરાયો હતો.
That's game set and match for #TeamIndia as they wrap up their 3rd T20I with a 6-wicket win. Brilliant team effort on display. pic.twitter.com/BC5WErTtGE
— BCCI (@BCCI) March 12, 2018
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી શ્રીલંકન ટીમે ૨૦ ઓવરમાં ૧૫૨ રનનો સ્કોર ખડકયો હતો. શ્રીલંકા તરફથી ઓપનર કુશલ મેન્ડીસે ૩૮ બોલમાં ૫૫ રન ફટકાર્યા હતા. એક સમયે યજમાન ટીમે માત્ર ૧૨ ઓવરમાં ૧૧૩ રન બનાવી દીધા હતા પરંતુ ભારતના બોલરોની શાનદાર બોલિંગ સામે શ્રીલંકા ૨૩૦ ઓવરમાં ૯ વિકેટે ૧૫૨ રન જ બનાવી શકી હતી. ભારત તરફથી ઝડપી બોલર શાર્દુલ ઠાકુરે સૌથી વધુ ૪ વિકેટ ઝડપી હતી જયારે સ્પિનર વોશિંગ્ટન સુંદરે ૨ ઝડપી હતી.
શ્રીલંકા દ્વારા આપવામાં આવેલા ૧૫૩ રનના જવાબમાં ભારતીય ટીમની શરૂઆત પણ ખરાબ રહી હતી. આ શ્રેણીમાં સતત કંગાળ ફોર્મમાંથી પસાર થઇ રહેલા કેપ્ટન રોહિત શર્મા માત્ર ૧૧ રનમાં જ આઉટ થઇ ગયો હતો. ભારત તરફથી મિડલ ઓર્ડર બેટ્સમેન મનીષ પાંડેએ સૌથી વધુ ૪૨ રન ફટકાર્યા હતા જયારે વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે ૩૯ અને સુરેશ રૈનાએ ૨૭ રનનું યોગદાન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, નિદાહસ ટી-૨૦ શ્રેણીમાં ભારત આ પહેલા ૬ માર્ચના રોજ રમાયેલી પ્રથમ મેચમાં ભારત શ્રીલંકા સામે ૫ વિકેટે હારનો સ્વાદ ચાખ્યો હતો ત્યારે આ મેચ જીતીને હારનો બદલો લઇ લીધો છે.
