દિલ્લી,
છેલ્લા કેટલાક સમયથી દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દિપક મિશ્રા દ્વારા કેસોની ફાળવણીને લઇ અસંતોષ જોવા મળી રહ્યો છે. સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ટ જજો આ પહેલા એક પ્રેસ કોન્ફરન્સ યોજીને CJI વિરુધ પોતાની નારાજગી દર્શાવી ચુક્યા છે ત્યારે હવે વિપક્ષી પાર્ટીઓ દ્વારા પણ CJI વિરુધ મહાભિયોગ લાવવામાં આવ્યો છે. ઉપ-રાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડુને મુલાકાત કર્યા બાદ વિપક્ષી પાર્ટીઓના ૬૪ સાંસદોએ CJI વિરુધ મહાભિયોગ લાવવા માટે હસ્તાક્ષર કર્યા હતા.
CJI વિરુધ લાવવામાં આવેલા મહાભિયોગમાં વિપક્ષી પાર્ટીઓમાં કોંગ્રેસ, CPI, CPM, એનસીપી, બીએસપી, મુસ્લિમ લીગ અને સમાજવાદી પાર્ટી શામેલ છે. જેમાં કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ, કે ટી એસ તુલસી, અભિષેક મનુ સિંઘવી, કપિલ સિબ્બલ, એનસીપી નેતા વંદના ચૌહાણ અને CPIના કે ડી રાજા ઉપ-રાષ્ટ્રપતિને આપવામાં આવેલા પ્રસ્તાવ દરમિયાન શામેલ રહ્યા હતા.
પરંતુ દેશની સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસ વિરુધ મહાભિયોગ કઈ રીતે લાવવામાં આવે છે અને આ માટે શું પ્રક્રિયા છે :
દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સામે મહાભિયોગ લાવવા માટે બંધારણની સાથે સાથે જજ એક્ટ ૧૯૬૮ અને વર્ષ ૧૯૬૯ના જજ (ઇન્કવાયરી)ના નિયમ મુજબ આ સમગ્ર પ્રક્રિયા કરવામાં આવતી હોય છે.
આ ઉપરાંત બંધારણના આર્ટિકલ ૧૨૪(૪)ના જણાવ્યા મુજબ, ચીફ જસ્ટિસ વિરુધ મહાભિયોગ લાવવા માટે સંસદના 50થી વધુ સાંસદોના હસ્તાક્ષર જરૂરી હોય છે.
સાંસદોની સહીઓ થયા બાદ મહાભિયોગના પ્રસ્તાવને ઉપરાષ્ટ્રપતિ સામે મુકવામાં આવતો હોય છે. જો ઉપરાષ્ટ્રપતિ મંજુરી આપે તો આ પ્રસ્તાવને સસંદના ગૃહમાં લાવવામાં આવતો હોય છે.
ત્યારબાદ આ પ્રસ્તાવ સંસદના કોઈ પણ એક ગૃહમાં રજુ કરવામાં આવતો હોય છે અને તેને રાજ્યસભા ચેરમેન કે લોકસભાના સ્પીકરમાંથી કોઈ પણ એકને સોપવામાં આવતો હોય છે.
સંસદના કોઈ એક ગૃહમાં રજુ કર્યા બાદ રાજ્યસભા ચેરમેન કે લોકસભાના સ્પીકર પર નિર્ભર હોય છે કે તેઓ આ પ્રસ્તાવને રદ્દ કરે છે કે તેનો સ્વીકાર કરે છે.
જયારે રાજ્યસભા કે લોકસભાના સ્પીકર આ પ્રસ્તાવ મંજુર કરે તો ચીફ જસ્ટિસના આરોપોની તપાસ માટે ત્રણ સદસ્યોની કમિટીનું ગઠન કરવામાં આવે છે. આ કમિટીમાં એક સુપ્રીમ કોર્ટના એક જજ, એક હાઇકોર્ટના જજ અને એક કાયદાના નિષ્ણાંત શામેલ હોય છે.
આ કમિટી જયારે જજને દોષિત માને છે પછી જે ગૃહમાં પ્રસ્તાવ આપવામાં આવ્યો છે ત્યાં આ રિપોર્ટને રજુ કરવામાં આવતો હોય છે. ત્યારબાદ આ રિપોર્ટ બીજા ગૃહમાં મોકલવામાં આવે છે.
આ તપાસ રિપોર્ટને સંસદમાં બંને ગૃહોમાં ૨/૩ બહુમતીથી સમર્થન મળ્યા બાદ રાષ્ટ્રપતિ સમક્ષ મોકલવામાં આવે છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ પોતાના અધિકારોનો ઉપયોગ કરતા ચીફ જસ્ટિસને હટાવવા માટે આદેશ આપે છે.
