પટના,
રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુપ્રસાદ યાદવને તેમના પુત્રના લગ્ન અગાઉ રાહતના સમાચાર મળ્યા છે. રાંચી હાઇકોર્ટે તેમના છ સપ્તાહના વચગાળાના જામીન આપ્યા છે. જયારે તેજપ્રતાપના લગ્નમાં હાજરી આપવા યોગગુરુ બાબા રામદેવ પણ લાલુના ઘરે પહોંચી ગયા છે.
રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવનો મોટો પુત્ર તેજ પ્રતાપ યાદવ શનિવારે લગ્નના બંધનથી બંધાશે. લગ્નના એક દિવસ અગાઉ તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે અને મહેમાનો પણ આવવાના શરૂ થઇ ગયા છે. આ દરમિયાનમાં લાલુ પ્રસાદના પરિવારમાં ખુશીના સમાચાર આવ્યા છે, શુક્ર્વારે લાલુ પ્રસાદ યાદવને છ સપ્તાહના વચગાળાના જામીન મળી ગયા છે, ઉલ્લેખનીય છે કે આ અગાઉ ગુરુવારે તેમને ત્રણ દિવસના પેરોલ મળ્યા હતા.
લાલુને મળ્યા છ સપ્તાહના જામીન
લાલુપ્રસાદ યાદવને છ સપ્તાહના વચગાળાના જામીન મળ્યા છે, તેમને આ જામીન મેડિકલ ગ્રાઉન્ડ પર આપવામાં આવ્યા છે. લાલુપ્રસાદ યાદવને આ જામીન રાંચી હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે.
તેજ પ્રતાપના લગ્નનો આ છે કાર્યક્રમ
લાલુ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવના લગ્નનો કાર્યક્રમ આ મુજબ છે. જેમાં તા. ૧૧ મે શુક્રવારે મટકોર અને હલદી કળશનો કાર્યક્રમ, તા. ૧૨ મેના રોજ લગ્ન થશે. જેના અંતર્ગત તા. ૧૨ મીના રોજ રાબડીદેવીના સરકારી આવાસ 10, સર્કુલર રોડ ખાતેથી સાંજે ૭ કલાકે જાન પ્રસ્થાન થશે અને રાત્રીના સમયે શુભ વિવાહ (લગ્ન) યોજાશે.
નીતીશ કુમાર, રામદેવ સહિતના VVIP પહોંચશે, પણ સુશીલ મોદી રહેશે ગેરહાજર
લગ્નમાં શામેલ થનારા મહેમાનોમાં અનેક વીઆઈપીઓ પણ છે. શુક્રવારે યોગગુરુ બાબા રામદેવ પણ લાલુ યાદવના ઘરે પહોંચી ગયા છે. કહેવાય છે કે, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી પણ લગ્ન સમારોહમાં હાજરી આપશે. આ ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમની બહેન પ્રિયંકા ગાંધી પણ તેજ પ્રતાપના લગ્નમાં હાજરી આપી શકે છે.
તેજ પ્રતાપ અને તેજસ્વી યાદવ દેશના કેટલાય મુખ્ય નેતાઓને લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે ખુદ આમંત્રણ કાર્ડ આપવા ગયા હતા. તેજ પ્રતાપ યાદવ દ્વારા બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ પોલેન્ડના પ્રવાસે ગયા હોવાના કારણે તેઓ લગ્નમાં હાજરી આપી શકશે નહિ.
સમગ્ર પરિવારે કર્યો ડાન્સ
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ તેજ પ્રતાપ અને ઐશ્વર્યાની પટનાની એક હોટલમાં સગાઈ થઈ હતી. જો કે આ સગાઈમાં લાલુ પ્રસાદ યાદવ હાજર રહી શક્યા ન હતા. બુધવારે જ બંનેના સંગીતની રસમ યોજાઈ હતી. જયારે ગુરુવારે પણ લાલુના પરિવારે ઘણો જશ્ન મનાવવામાં આવ્યો હતો. ગુરુવારે તેજપ્રતાપ, તેજસ્વી, રાબડીદેવી સહિત સમગ્ર લાલુ પરિવાર કાળા ચશ્માં પહેરીને નાચતા-ગાતા જોવા મળ્યા હતા.
લાલુના ઘરે પહોંચવાની સાથે કાર્યકર્તાઓમાં જોશ આવ્યો
લગ્ન સમારોહમાં ભાગ લેવા માટે પેરોલ ઉપર છૂટેલા લાલુ પ્રસાદ યાદવ જયારે રાંચીથી પટના સ્થિત પોતાના ઘરે પહોંચ્યા તો તેના પરિવારની ખુશી અને પાર્ટી કાર્યકર્તાઓના જોશના સમાગમે એક એવી સ્થિતિ ઉભી કરી દીધી કે જેને થોડા સમય માટે સંભાળવી પણ મુશ્કેલ બની ગઈ હતી. લાલુની ગાડી ઘરના સંકુલમાં પ્રવેશી તે પહેલા જ ત્યાં ભાગદોડ મચી ગઈ હતી, જેના કારણે કાર્યકર્તાઓ એકબીજા ઉપર પડ્યા હતા.
સમગ્ર પરિવારે કર્યું સ્વાગત
લાલુપ્રસાદ યાદવના આગમન અગાઉ જ તેમના દોહિત્ર-દોહિત્રીઓએ કતારબદ્ધ ઉભા રહીને ‘નાનાજી જિંદાબાદ’ના નારા લગાવી રહ્યા હતા. લાલુની દીકરીઓ, તેમના તમામ સંબંધીઓ પણ ઘરના આંગણામાં આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા.
ચારા કૌભાંડના કેટલાય કેસમાં દોષિત જાહેર થયેલા લાલુ યાદવને પેરોલ ઉપર ત્રણ દિવસ મુક્તિ મળી છે. લગ્ન સમારોહણે માટે મળેલી આ મુક્તિથી પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે, સાથોસાથ કાર્યકર્તાઓએ પણ ખુશીઓની હોળી રમી હતી.