નવી દિલ્હી: બાબા રામ-રહીમ અને આસારામ પછી વધુ એક બાબા મહિલાઓ-સાધ્વીઓની સાથે યૌન શોષણના મામલામાં ફસાયા છે. દિલ્હી સહિત સમગ્ર દેશમાં મશહૂર બાબા દાતી મહારાજ (શ્રી શનિધામ પીઠાધીશ્વર) પર પોતાની સાધ્વીની સાથે દુષ્કર્મ કરવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે.
આ મામલે દિલ્હી પોલીસે બાબા દાતી મહારાજ સામે કલમ ૩૭૬ અને ૩૭૭ અંતર્ગત ફરિયાદ નોંધીને આરોપી બાબાની શોધ શરૂ કરી દીધી છે. જયારે બાબા આશ્રમ અને પોતાના સ્થળોએથી ફરાર થઈ ગયા હોવાનું કહેવાય રહ્યું છે. પોલીસ બાબાની શોધમાં આશ્રમ પહોંચી હતી પરંતુ બાબા મળ્યા ન હતા. દિલ્હી સ્થિત બાબાના આશ્રમ પર સન્નાટો ફેલાઈ ગયો છે.

બાબા દાતી મહારાજ સામે નોંધાયેલો આ દુષ્કર્મનો મામલે વર્ષ ૨૦૧૬નો છે. બાબાની એક મહિલા શિષ્યાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, બે વર્ષ પહેલાં શનિધામની અંદર તેનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું. ડરના કારણે તેણીએ ફરિયાદ નોંધાવી ન હતી. બાબાનું અસલી નામ મદન મહારાજ છે.
આ મહિલાએ ગત સપ્તાહમાં છઠ્ઠી જૂનને બુધવારના રોજ ફતેહપુર બેરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતા એસએચઓએ આવીને બાબાની પૂછપરછ કરી હતી. કહેવાય રહ્યું છે કે, બાબા દાતી મહારાજે પૂછપરછમાં બિલકુલ સહયોગ આપ્યો ન હતો.
Rape case registered against self-styled godman Daati Maharaj in Delhi,. Case registered under sections of IPC 376, 377, 354 & 34. pic.twitter.com/gNzQAdfnOx
— ANI (@ANI) June 11, 2018
જયારે આ મામલામાં એસએચઓએ ડીસીપીને પણ રિપોર્ટ આપ્યો હતો. આ પછી ડીસીપીના આદેશથી ગુનો નોંધવામાં આવ્યો હતો. જયારે બીજી તરફ દિલ્હી આશ્રમમાં હાજર સેવક અર્જુને જણાવ્યું હતું કે, બાબા ક્યાં છે? તે અંગે તેને કોઈ માહિતી નાથી.
કહેવાય છે કે, બાબા દાતી મહારાજના રાજસ્થાનના પાલી અને દિલ્હીના છતરપુરમાં આશ્રમ છે. દિલ્હીમાં બાબા ફક્ત શનિવારે આવે છે, જયારે અહિયાં શનિ ભગવાનની પૂજા કરવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દાતી મહારાજ નિયમિત રીતે રાષ્ટ્રીય સમાચાર ચેનલો પર આવે છે. તેમની પોતાની વેબસાઈટ છે અને પોતાની ‘સલાહ’ને પ્રોત્સાહન આપવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ કરે છે. દક્ષિણ દિલ્હીના છતરપુર એન રાજસ્થાનના પાલીમાં તેમના મોટા ફાર્મ હાઉસ છે.
વધુ એક બાબા મુશ્કેલીમાં ફસાયા
દુષ્કર્મનો મામલો સામે આવ્યા પછી બાબાની મુશ્કેલીઓ વધશે તે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. કહેવાય રહ્યું છે કે, બાબા પર કેટલાય લોકોના હજારો કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. આવા સંજોગોમાં પોલીસ આ મામલામાં પણ તપાસ શરૂ કરી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પોતાની જ સાધ્વીઓ સાથે દુષ્કર્મના મામલાઓમાં ગુરમીત રામ-રહીમ અને આસારામને કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવેલી છે. હરિયાણાની સાથે સંલગ્ન એવા ગુરમીત રામ રહીમને ગત વર્ષે જેલની સજા ફટકારવામાં આવી હતી. ડેરા સચ્ચાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સિદ્ધુ મૂળ પંજાબી જાટ છે.

વર્ષ ૨૦૦૨માં રામ રહીમ પર સાધ્વીઓના યૌન શોષણનો આરોપ લાગ્યો હતો. યૌન શોષણના સમાચાર છાપનાર સ્થાનિક પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યાનો પણ આરોપ તેમના પર લાગ્યો હતો. વર્ષ ૨૦૧૭માં પંચકૂલાની વિશેષ સીબીઆઈ અદાલતે દેરા પ્રમુખ ગુરમીત રામ રહીમને દુષ્કર્મના કેસમાં દોષિત ઠરાવીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.
જયારે આવા જ અન્ય કેસમાં આસારામની વિરુદ્ધ દુષ્કર્મના એક કેસમાં થોડા મહિનાઓ અગાઉ જોધપુર કોર્ટે આસારામ સહિત ત્રણ લોકોને દોષી ઠરાવીને સજા પણ ફટકારી હતી. જયારે બે વ્યક્તિને નિર્દોષ જાહેર કરી છોડી દેવાયા હતા.

આ મામલામાં આસારામને ઉમરકેદની અને અન્ય બે દોષિત શિલ્પી અને શરતને 20-20 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આસારામ ઉપરાંત અન્ય કેટલાય કથિત બની બેસેલા સંતો કે જે કેટલાય પ્રકારના વિવાદોમાં ફસાઈ ચૂક્યા છે અને તેમને સજા પણ થઈ છે.
