નવી દિલ્હી,
ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને ગાંધી પરિવારના સભ્ય વરુણ ગાંધીએ એ વાતનો સ્વીકાર કર્યો છે કે વિવિધ ક્ષેત્રે વારસો મળવાના કારણે આવતા લોકોને કારણે સામાન્ય પરિવારમાંથી આવતા ટેલેન્ટેડ લોકોની ખોટ પડે છે. રાજકારણ પણ વારસાગત રીતે ચાલતુ હોવાથી ટેલેન્ટેડ માણસો રાજકારણમાં આવી શક્તા નથી. કેટલાક લોકો તેમના પરિવારજનો રાજકારણમાં હોવાથી તે લોકો પણ વારસાગત રીતે રાજકારણમાં આવે છે. આ એક ખરાબ બાબત છે અને એના કારણે આપણને ટેલેન્ટેડ માણસો નથી મળી શકતા.
વરુણ ગાંધીએ જણાવ્યુ હતું કે, આપણે કઈ રીતે સામાન્ય માણસો માટે રાજકારણના દ્વાર ખોલીએ? દરેક જિલ્લામાં, દરેક રાજ્યમાં લોકો વારસાગત રીતે રાજકારણમાં આવી રહ્યા છે. વરુણ ગાંધીએ બેંગ્લોરમાં એક ઈવેન્ટને સંબોધન કરતા આ અંગેની વાત કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે, આ દેશમાં કોઈપણ એવુ ક્ષેત્ર નથી કે જ્યાં આ વારસાગત નામનુ દૂષણ ન હોય. આપણે રમત-જગત ક્ષેત્ર જોઈએ કે ફિલ્મ ઈન્ડસ્ટ્રી જોઈએ, રાજકારણ કે ઉદ્યોગજગત, દરેક ક્ષેત્રના દ્વાર સામાન્ય માણસ માટે બંધ છે. જો તમે નાના શહેરમાં જન્મ્યા છો અને તમે ખૂબ જ ટેલેન્ટેડ છો તો તમારી ટેલેન્ટનો વ્યય થઈ જશે પણ તમે દેશ માટે કંઈ નહીં કરી શકો, આ વાતનુ મને ખૂબ જ દુઃખ છે.
વરુણ ગાંધીએ પોતે નહેરુ પરિવારનુ ફરજંદ છે તેઓ પોતે પણ વારસાગત રીતે રાજકારણમાં આવ્યા છે, તેમણે સ્વીકાર્યું હતું કે તેઓ નહેરુ-ગાંધી પરિવારમાંથી ના આવતા હોત તો રાજકીય રીતે આટલું ઉભરી શક્ય ના હોત. એમણે આગળ જણાવ્યું કે ચીન જીડીપીના ત્રણ ટકા રીસર્ચ અને ડેવલપમેન્ટ પર ખર્ચ કરે છે, જયારે ભારત જીડીપીના ૦.6 ટકા જ ખર્ચ કરે છે. વરુણ ગાંધીએ દાવો કર્યો હતો કે 93 ટકા સ્ટાર્ટ-અપ એટલે નિષ્ફળ ગયા કારણ કે રોકાણકર્તાઓએ એમને ઉભરવા માટે પુરતો સમય આપ્યો નહતો.
દેશમાં શિક્ષણ વિશે વાત કરતા ગાંધીએ કહ્યું કે દેશમાં શિક્ષણ ક્ષેત્રે નવીનતા લાવવાની ખુબ જરૃર છે, પી.એચડી સંશોધન ઉદ્યોગ અને નવીનીકરણ સાથે જોડાયેલું હોવું જોઈએ. ઉપરાંત તેમણે કહ્યું કે બધાને શિક્ષણ મળવું જોઈએ.
વરુણ ગાંધીએ પર્યાવરણીય જોખમો વિશે પણ વાત કરી હતી. તેમણે ફરીદાબાદ અને ગુરુગ્રામનું ઉદાહરણ આપતા જણાવ્યું કે આ વિસ્તારમાં વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ થઇ જવાથી લોકો ગંભીર બીમારીઓનો ભોગ બને છે.