ગાંધીધામ.
સયાજીનગરી એક્સપ્રેસમાંથી ભુજના આર્મી જવાનની AK 47 રાયફલ સાથેની બેગ ચોરાઈ જતાં ગઈકાલે આખો દિવસ આખુ પોલીસ તંત્ર રાયફલ શોધવા રીતસર મચી પડ્યું હતું.
બનાવની ગંભીરતાને અનુલક્ષીને રેલવે ડીઆઈજી ગૌતમ પરમારે પશ્ચિમ રેલવેના એસપી ભાવનાબેન પટેલની દેખરેખ હેઠળ રેલવે એલસીબી સહિતની પોલીસની વિવિધ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી. તો, પૂર્વ કચ્છ અને મોરબી જિલ્લાના એસઓજી અને એલસીબી સહિતના પોલીસ સ્ટાફને પણ કામે લગાડાયો હતો.
જો કે, દિવસભરની મહેનતના અંતે આ રાયફલ ગાંધીધામમાંથી જ મળી આવતાં સહુએ રાહતનો દમ લીધો હતો. પૂર્વ કચ્છ રેલવે પીએસઆઈ સી.એસ.સોંદરવાએ એક સમાચારપત્રને જણાવ્યું હતું કે, ગાંધીધામ એસટી બસ સ્ટેન્ડ પાછળ આવેલી કેબીનો નજીક એક પડતર ગટરની કુંડીમાંથી રાયફલ સહિતની બેગ બીનવારસી હાલતમાં મળી આવી છે.
ગત મોડી રાત્રે સવા દસ વાગ્યે બાતમીના આધારે પોલીસ અહીં દોડી આવી હતી. કુંડીમાંથી મળેલી બેગમાં અન્ય સરસામાન અને ક્રેડીટ કાર્ડ સહિતનો તમામ મુદ્દામાલ પણ સહીસલામત મળી આવ્યો છે. આમ, આખા દિવસની મહેનતના અંતે રાયફલ મળી આવતાં સહુને નિરાંત થઈ છે. પોલીસે આ બેગ ચોરનારાં શખ્સની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, સયાજીનગરી એક્સપ્રેસના એસ-9 કોચમાં પ્રવાસ કરી રહેલાં ભુજ આર્મીના જવાનની બેગની ચોરી થઈ ગઈ હતી.