નવી દિલ્હી,
દેશની સૌથી મોટી બેન્કોમાંની એલ પંજાબ નેશનલ બેંકને ૧૩૦૦૦ કરોડ રૂપિયાથી વધુનું ફૂલેકું ફેરવી વિદેશમાં ભાગી જનારા કૌભાંડી નિરવ મોદી અંગે મહત્વનો ખુલાસો થયો છે. યુ કેની ઓથોરિટી દ્વારા પૃષ્ટિ કરવામાં આવી છે કે, ભાગેડુ જ્વેલરી કિંગ નિરવ મોદી બ્રિટનમાં જ છે.
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI)ના અધિકારીઓએ કહ્યું હતું કે, “બ્રિટન દ્વારા આ વાતની પૃષ્ટિ કરવામાં આવી છે”. ત્યારે હવે CBI દ્વારા નિરવ મોદીના ભારત પાછા લાવવા માટે પ્રત્યાપણ અરજી કરવામાં આવી છે.
United Kingdom authorities have confirmed that Nirav Modi is in the U.K and CBI has moved an extradition request through proper channels: CBI pic.twitter.com/dZrXkqERhk
— ANI (@ANI) August 20, 2018
અત્રે ઉલ્લેખનીય છે કે, પંજાબ નેશનલ બેંકને ૧૩૦૦૦ કરોડ રૂપિયાથી વધુનું ફૂલેકું ફેરવનારા આરોપી નિરવ મોદી અને મેહુલ ચોકસી ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં દેશ છોડીને ભાગી ગયા હતા અને ત્યારબાદ આજ દિન સુધી તેઓનું પ્રત્યાપણ કરવામાં આવ્યું નથી.
કેટલાક મહિનાઓ પહેલા એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કૌભાંડી નિરવ મોદી લંડનના મેફેયર વિસ્તારમાં સ્થિત પોતાના જ્વેલરી સ્ટોરના ઉપરના એક ફ્લેટમાં છુપાયેલો છે.
ફેબ્રુઆરી મહિનામાં જ ભારત સરકાર દ્વારા નિરવ મોદીનો પાસપોર્ટ રદ્દ કરવામાં આવ્યો છે, પરંતુ ત્યારબાદ તે ચારવાર બ્રિટન આવ્યો હતો અને બહાર ગયો હતો. આ ઉપરાંત ભારતીય કોર્ટ દ્વારા બંને કૌભાંડીઓની ધરપકડ કરવા માટે વોરંટ તેમજ ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરાયું છે.
આ ઉપરાંત દેશની સરકારી બેન્કોને ૯ હજાર કરોડ રૂપિયાની લોન લઈને ભાગી જનાર આરોપી વિજય માલ્યા પણ બ્રિટેનમાં છે.
બીજી બાજુ પંજાબ નેશનલ બેંકમાં હજારો કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનાર અન્ય કૌભાંડી મેહુલ ચોકસી એન્ટીગુઆમાં છે. તેને રોકાણ દ્વારા એન્ટીગુઆની નાગરિકતા હાંસલ કરી છે.
