નવી દિલ્હી,
દેશની રાજકીય પાર્ટીઓના નેતાઓ પર ચાલી રહેલા કેટલાક આરોપો બાદ પણ તેઓનું ચૂંટણી લડવા માટેનો રસ્તો સાફ થયો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા દાગી નેતાઓને ચૂંટણી લડવા માટે રોક લગાવવા પર ઇન્કાર કરી દીધો.
ચાર્જસીટના આધાર પર દાગી નેતાઓ પર કાર્યવાહી થઇ શકે નહિ
મંગળવારે પાર્ટીઓના દાગી નેતાઓને ચૂંટણી લડવા માટેની રોક પર કરવામાં આવેલી પીટીશન પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી બાદ દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “ચાર્જસીટના આધાર પર દાગી નેતાઓ પર કાર્યવાહી કરવામાં આવી શકે એમ નથી”.
સુપ્રીમ કોર્ટ દ્વારા પોતાના નિર્ણયમાં જણાવવામાં આવ્યું છે કે, “સામાન્ય જનતાને પોતાના નેતાઓ અંગે તમામ જાણકારી હોવી જરૂરી છે. રાજકીય પાર્ટીઓના દરેક નેતાએ પોતાના આરોપોના રેકોર્ડની જાણકારી ચૂંટણી લડતા પહેલા ઇલેકશન કમિશનને આપવી જોઈએ”.
આ સંસદનું કામ છે, અમે આ પ્રકારનો નિર્ણય લઈ શકતા નથી : SC
ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના વડપણ હેઠળની પાંચ જજોની બેન્ચે જણાવ્યું હતું કે, “આ સંસદનું કામ છે તેઓ રાજનીતિમાં અપરાધીકરણ પર રોક લગાવવાનું કામ કરે. તેઓ આ મામલે કાયદો બનાવી શકે છે, પરંતુ અમે આ પ્રકારનો નિર્ણય લઈ શકતા નથી”.
આ ઉપરાંત તમામ રાજકીય પાર્ટીઓને પોતાના ઉમેદવારોની જાણકારી પોતાની વેબસાઈટ પર આપવાની રહેશે, તેમજ તમામ ઉમેદવારોએ ચૂંટણી લડતા પહેલા ત્રણવાર અખબારમાં અને એકવાર ઇલેક્ટ્રોનિક મીડિયામાં પોતાના રેકોર્ડની વિસ્તૃત જાણકારી આપવી પડશે”.
આ પીટીશન પર સુપ્રીમ કોર્ટના પાંચ જજોની ખંડપીઠ કરી રહી છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના વડપણ હેઠળની પાંચ જજોની બેન્ચમાં જસ્ટિસ એમ ખાનવિલકર, જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ, જસ્ટિસ આર એફ નરિમન અને જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રા શામેલ છે.
કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી હતી આ દલીલ
આ પહેલાની સુનાવણીમાં કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો. આ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, “મોટા ભાગના મામલાઓમાં આરોપી નેતાઓ નિર્દોષ છુટી જાય છે, તેથી તેઓની સભ્યતા રદ્દ કરવા જેવો કોઈ આદેશ આપવામાં ન આવે”.
પીટીશનમાં ચૂંટણી લડવા પર રોક લગાવવા માટે કરાઈ હતી માંગ
મહત્વનું છે કે, સુપ્રીમ કોર્ટમાં કરવામાં અઆવેલી પીટીશનમાં માંગ કરવામાં આવી હતી કે, જયારે કોઈ વ્યક્તિને ગંભીર ગુનાઓમાં ૫ વર્ષથી વધુ સજા થાય છે તેમજ કોઈ પણ નેતા વિરુધ આરોપ સાબિત થાય છે, ત્યારે એ વ્યક્તિ કે નેતા પર ચૂંટણી લડવા પર રોક લગાવવામાં આવે.
આ ઉપરાંત માંગ કરવામાં આવી હતી કે, રાજકીય પાર્ટીઓના સાંસદ કે MLA પર જો આરોપ સાબિત થાય છે તો તેઓની સભ્યતા રદ્દ કરવી જોઈએ.