રાજકોટના યુનિવસિર્ટી રોડ પર યોજાતાં નામાંકિત ગરબામાં આયોજક અને ક્રાઈમ બ્રાંચના ફોજદારને રકજક થયા બાદ બઘડાટી બોલી હતી. જે મુદ્દે પોલીસ ફરિયાદ નાેંધવામાં આવી છે. ગરબા આયોજકને અંદર પ્રવેશ બાબતે પીએસઆઈ સાથે માથાકુટ થયાનું જાણવા મળ્યું છે. જયારે પોલીસે આ બાબતે નશો કરેલી હાલતમાં શંકમંદોએ તપાસ કરવા માટે પોલીસની ફરજમાં રૂકાવટ કર્યાનું જણાવ્યું છે.
રાજકોટમાં ટોક-આેફ-ધી ટાઉન બનેલા આ પ્રકરણમાં નામાંકિત ગરબાનાં આયોજક અને તેની સાથેના શખ્સ કે જે નશો કરેલી હાલતમાં હોય તેને તપાસવા માટે રોકતા બન્નેએ પોલીસની ફરજમાં રૂકાવટ કરી બ્રેથ એનેલાઈઝરથી તપાસવા ન દીધા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

જયારે ગરબા આયોજકે યુનિવસિર્ટી રોડ પોલીસ મથકમાં કરેલી અરજીમાં જણાવ્યું કે, ક્રાઈમ બ્રાંચના ફોજદાર અને તેમની ટીમ ખાનગી ડ્રેસમાં ગરબામાં પ્રવેશ કરવા માંગતા તેમને રોકયા હતાં. જેથી ફોજદારે રોફ જમાવવા માટે અને અંદર દારૂ પીધેલાની તપાસ માટે જવું છે. તેવું કહી ધમાલ મચાવી હતી. ફોજદાર અને તેની સાથેના સ્ટાફે ગરબા આયોજક અને તેના સાથીને માર માર્યાનું જણાવ્યું છે. આ મુદ્દો ઉચ્ચ પોલીસ અધિકારી પાસે પહોચ્યો છે. હવે આ પ્રકરણમાં શું પગલા ભરાશે તે જોવાનું રહ્યું.
