ગાંધીનગરઃ રાજ્યમાં એક અઠવાડિયામાં શૈક્ષણિક પ્રવાસની બસોને રાત્રીના સમયે અકસ્માતના બેથી ત્રણ બનાવ બન્યા છે. આ ઘટનાઓને અનુલક્ષીને આજે મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, શૈક્ષણિક પ્રવાસની બસો રાત્રીના 11 થી સવારના 6 વાગ્યા સુધી ચલાવી શકાશે. આ અંગેની માહિતી રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં અનેક મહત્વનાં નિર્ણય લેવામાં આવ્યા હતા. તેમાં શાળા-કોલેજોનાં વિદ્યાર્થીઓનાં પ્રવાસમાં થતાં અકસ્માતને રોકવા માટે રાતનાં 11થી સવારનાં 6 કલાક સુધી આવી બસો પ્રવાસ કરી શકશે નહીં.
આ અંગેની માહિતી આપતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, આપણે છેલ્લા થોડા સમયથી જોઈએ છીએ કે, શાળાઓ-કોલેજોનાં વિદ્યાર્થીઓને પ્રવાસે લઇ જતા વાહનોને અકસ્માત નડતા અનેક બાળકો ઇજાગ્રસ્ત થયા છે અને તેમના મોત પણ નીપજ્યાં હોવાની ઘટનાઓ પણ સામે આવી છે.
રાજ્ય સરકાર તરફથી આવા અકસ્માતમાં મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા બાળકોના પરિવારને સહાય પણ જાહેર કરવામાં આવી છે. એટલું જ નહી ઇજાગ્રસ્ત બાળકોને સારામાં સારી સારવાર આપવામાં આવી રહી છે. પરંતુ ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લીધો છે તેમ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ નિર્ણય અંતર્ગત શાળાના બાળકોને પ્રવાસે લઇ જતી બસો રાતનાં 11 કલાકથી સવારે 6 કલાક સુધી પ્રવાસ નહીં કરી શકે. જે બસો રાતે પ્રવાસ કરતી હતી અને વિવિધ જગ્યાએ અકસ્માતનો ભોગ બની તેવું ભવિષ્યમાં ન થાય એટલા માટે રાત્રીના સમયે આવી બસો પ્રવાસ કરી શકશે નહીં. આ ઉપરાંત બાળકોને રાતે રહેવાની યોગ્ય વ્યવસ્થા પણ કરવાની રહેશે.
આ ઉપરાંત રાજ્ય સરકાર તરફથી ૯૬ તાલુકામાં ખેડૂતો માટેનાં રોકાણ ખર્ચની સહાય આપવાનું સરકારે જાહેર કર્યું છે. તેવા 96 તાલુકાનાં 22 લાખ ખેડૂતોને 2,280 રૂ.ની વહેલી તકે ચુકવવાનું શરૂ કરવામાં આવશે.
