વર્લ્ડ કપ 2019 નાં સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે 18 રનનાં અંતરે હાર બાદ ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર પહોંચી ગઈ છે. વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમ ઈંન્ડિયા શનિવારે અમેરિકાનાં ફ્લોરિડામાં ટી-20 મેચથી તેમના પ્રવાસની શરૂઆત કરશે. ફ્લોરિડાનાં લોડરહિસ્લ મેદાન પર રમાવવા જઇ રહેલી ત્રણ મેચોની સીરીઝનાં પહેલા ટી-20 મુકાબલામાં દરેકની નજર ટી-20 વિશ્વ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડિઝ પર રહેશે. આ મેચ સાથે, ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં આવતા વર્ષે રમાનાર ટી-20 વર્લ્ડ કપ માટેની તૈયારીઓ શરૂ કરશે.
વેસ્ટ ઇન્ડીઝનાં પ્રવાસ માટે રવાના થતાં પહેલા ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે, પ્રવાસ પર રમાવવાની ટી-20 અને વનડે શ્રેણીનો મુખ્ય લક્ષ્ય યુવા ખેલાડીઓને તક આપવાનો છે, જેની પસંદગી સમિતિ પરીક્ષણ કરવા માંગે છે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે વિરાટ કોહલી સહિત ઘણા ખેલાડીઓને વર્લ્ડ કપ પછી વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર રમાવવાની મર્યાદિત ઓવરની શ્રેણી માટે આરામ આપવામાં આવી શકે છે, પરંતુ પાછળથી સંપૂર્ણ તાકાતની સાથે ટીમને વેસ્ટ ઇન્ડીઝ મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આપને જણાવી દઇએ કે, જસપ્રિત બુમરાહને વનડે અને ટી-20 શ્રેણી માટે ટીમમાં અને હાર્દિક પંડ્યાને આખા પ્રવાસ માટે આરામ આપવામાં આવ્યો છે. બુમરાહ 22 ઓગસ્ટથી શરૂ થનારી ટેસ્ટ શ્રેણીમાં ટીમમાં જોડાશે.
શ્રેયશ અય્યર અને મનીષ પાંડે પાસે શાનદાર તક
ભારતીય ટીમનાં આ પ્રવાસનો પ્રારંભિક સપ્તાહ મનીષ પાંડે અને શ્રેયસ અય્યર જેવા ખેલાડીઓ માટે ખૂબ મહત્વનો રહેશે. કારણ કે આ બધા ખેલાડીઓ વર્લ્ડ કપ પહેલા બાકાત રાખવામાં આવ્યા હતા. મનીષ પાંડે નવેમ્બર 2018 માં છેલ્લી વખત ભારતીય ટીમ માટે રમ્યો હતો, જ્યારે અય્યરને ફેબ્રુઆરી 2018 માં બ્લુ જર્સીમાં રમવાની તક મળી હતી. ભારતીય ટીમ પોતાનો મધ્યમ ક્રમ મજબૂત કરવા માંગે છે, તેથી આ બંને ખેલાડીઓ પાસે 6 મેચોમાં પોતાને સાબિત કરવાની આ સારી તક છે.
રોહિત અને શિખર કરશે ઈનિંગની શરૂઆત
ટીમ ઇન્ડિયા માટે ઈનિંગની શરૂઆત કરવા રોહિત શર્મા અને ઇજા બાદ પરત ફરી રહેલા શિખર ધવન પર રહેશે. હંમેશાની જેમ વિરાટ કોહલી ત્રીજા નંબરે બેટિંગ કરશે અને કેએલ રાહુલ ફરી એક વખત ચોથા નંબર પર બેટિંગ કરી શકે છે. લોકેશ રાહુલે વર્ષ 2016 માં ફ્લોરિડામાં શાનદાર સદી (110) ફટકારી હતી. ત્રણ વર્ષ પછી, તે ફરી આ મુજબનું જ પ્રદર્શન કરે તેવી અપેક્ષા રાખવામાં આવશે. આપને જણાવી દઇએ કે, રોહિત શર્મા વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. જેમા તેણે પાંચ સદી ફટકારી હતી. વિરાટ કોહલી સાથે મતભેદોનાં અહેવાલો વચ્ચે તે ટી-20 માં પોતાના ફોર્મને જાળવી રાખવા મેદાને ઉતરશે.
બંન્ને ટીમો આ મુજબ છે
ભારત
વિરાટ કોહલી(કેપ્ટન), રોહિત શર્મા(વાઇસ કેપ્ટન), શિખર ધવન, કે એલ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, કૃણાલ પાંડ્યા, વોશિગ્ટન સુંદર, રાહુલ ચહર, ભુવનેશ્વર કુમાર, નવદીપ સૈની, દીપક ચહર, ખલીલ અહમદ.
વેસ્ટ ઇન્ડિઝ
કાર્લોસ બ્રેથવેટ(કેપ્ટન), એવિન લુઇસ, નિકોલસ પૂરન, શેમરોન હેટમાયર, શેલ્ડન કોટરેલ, જોન કેમ્બેલ, કીરોન પોલાર્ડ, જોન મોહમ્મદ, કેરે પીયરે, ઓસેન થોમસ, કીમો પોલ, સુનિલ નરેન, રોવમેન પોવેલ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.