પશ્ચિમ બંગાળ વિધાનસભા માટે ચૂંટણી પ્રચાર (West Bengal Assembly Election Campaign) પોતાની ચરમસીમા પર છે. મંગળવારે એક સભામાં મુખ્યમંત્રી મમતા બનર્જીએ ત્રણ મિનિટ સુધી ચંડી પાઠ કર્યો. હૉટ સીટ બની ચુકી નંદીગ્રામમાં તેમણે ભાજપ પર હુમલો કરતાં કહ્યું કે તે પણ હિંદુ છે અને તેમની સાથે હિંદુ કાર્ડ ના રમતા. જનસભામાં મમતાના ચંડી પાઠ કરવા પર એક ભાજપે પ્રહાર કર્યો છે તો બીજી બાજુ કોંગ્રેસ પણ પાછળ નથી. પશ્ચિમ બંગાળ કોંગ્રેસ અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ મતદાન પહેલા મમતાના સૉફ્ટ હિન્દુત્વ પર સવાલો ઉઠાવ્યા છે.
ચૌધરીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારથી બંગાળમાં ચૂંટણી પ્રચાર કરવા આવ્યા છે, ત્યાર બાદથી મમતા બેનરજીને હિંદૂ-હિંદૂ કરવું પડયું છે. આ નરેન્દ્ર મોદીની સફળતા હોઇ શકે છે. હવે મમતા બેનરજી નરેન્દ્ર મોદીથી વધુ પૂજા પાઠ કરવામાં લાગી છે. મોદીએ સમજીને ચાલવું પડશે કે હવે તે આ બાબતમાં એકલા નથી. તેમણે કહ્યું કે મમતા બેનરજી પહેલીવાર સૌની સામે પોતાને બ્રાહ્મણ મહિલા બતાવી રહી છે.
એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં અધીર રંજને કહ્યું કે કેટલાક દિવસ પહેલા મમતા બેનરજી લોકોને કહેતી હતી કી તે હિજાબ પહેરે છે અને મુસ્લિમોનું રક્ષણ કરે છે. પરંતુ આજે એવુ નથી. આજે તેમને બધાની વચ્ચે એ સાબિત કરવું પડે છે કે તે પણ હિંદુ છે. તેમના વર્તનમાં સંપૂર્ણ રીતે પરિવર્તન આવી ગયું છે. આ બધુ નરેન્દ્ર મોદીના કારણે થયું છે.
