કોરોના કાળમાં હોસ્પીટલમાં આગ લાગવી એ સામાન્ય થઈ ચુક્યું છે. છાસવારે કોવિડ હોસ્પીટલમાં લાગતી આગમાં અનેક દર્દીઓના જીવ ગયા છે. ત્યારે ગુજરાતમાં વધુએક કોવિડ હોસ્પીટલમાં ભીષણ આગ લાગી છે. ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ લાગી.
પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં શુક્રવાર મોડી રાત્રેભીષણ આગ લાગી હતી. જેમાં 18 દર્દીઓના મોત થયા છે. અનેક દર્દીઓ અને સ્ટાફ દાઝી ગયા છે. અને હજુ પણ આ ઘટનામાં મોત નો આંક વધે તેવી સંભાવના જોવા મળી રહી છે.
કોવિડ વોર્ડમાં 49 દર્દી સારવાર હેઠળ હતા. આગથી સમગ્ર હોસ્પિટલમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ICUમાં અચાનક આગ ફાટી નીકળી હતી. અનેક દર્દીઓ બેડ પર જ ભડથું થઇ ગયા હતા. અનેક દર્દી ગંભીર રીતે દાઝી ગયા હતા. જયારે ગુંગળામણથી પણ કેટલાંકના મોતની આશંકા સેવાઈ રહી છે. જયારે આગજની ની ઘટનામાં બચી ગયેલાઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
રાજ્યમાં વકરેલા કોરોના કેસને લઇ હાલમાં રાજ્યની હોસ્પિટલો દર્દિઓ થી ઉભરાઈ રહી છે. ત્યારે હોસ્પીટલમાં અગ્નિકાંડ ઘટના બનતા ભારે અફર તફરીનો મહોલ જોવા મળ્યો હતો. દર્દીઓના સગાઓનો હોસ્પિટલ ખાતે જમાવડો જોવા મળ્યો હતો.
આગની ઘટનાના સમાચાર મળતા જ ૧૦થી વધુ ફાયર ફાઈટર ઘટના સ્થળે ધસી આવ્યા હતા. અને આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા. ફાયર વિભાગે આ ઘટનાને બ્રિગેડ કોલ જાહેર કર્યો છે. 40થી વધારે એમ્બ્યુલન્સ બચાવ કામગીરીમાં લાગી ગઈ હતી. હોસ્પિટલમાં શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે
મુખ્યમંત્રીએ સંવેદના વ્યક્ત કરી
ભરૂચ વેલ્ફેર હોસ્પિટલમાં આગમાં 18ના મોત થતા રાજ્યના મુખ્યમંત્રીએ ઘેરી સંવેદના વ્યક્ત કરી છે. તેમને મૃતકોના પરિજનોને 4 લાખ સહાયની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી તેમના વારસદારને સહાયની જાહેરાત છે. મુખ્યમંત્રી રાહતનિધિમાંથી તમામ મૃતકોના વારસોને સહાય અપાશે.