કોરોના સામે જંગ જીતવા માટે આ વખતે ઓક્સસિજનની જરૃરીયાત ઉભી થઇ છે. પરંતુ પરિસ્થિતી જુદી જ છે. સમગ્ર રાજ્યમાં ઓક્સિજનના બાટલા અને ગેસની ભારે અછત છે. ઓક્સિજનના મળવાના કારણે અનેક લોકો જીવ ગુમાવી ચુક્યા છે. આવા સમયે ગીર સોમનાથ જિલ્લાના નાના એવા સરખડી ગામના યુવાનોના ગ્રુપએ લાખોનો ખર્ચ કરી 100 જેટલી ઓક્સિજનની બોટલો ખરીદી કરી તેને રીફીલીંગ કરાવી કોડીનાર શહેર અને તાલુકામાં જરૂરિયાતમંદ કોરોનાના દર્દીઓને નિ: શુલ્ક આપવાનું કાર્ય કરી રહ્યા છે.
યુવાનોનું આ ગ્રુપ ગ્રામ્ય વિસ્તારોમાં હોમ આઇસોલેટ થયેલા દર્દીઓને નિઃશુલ્ક ઓક્સિજનની બોટલો પહોંચાડવા ઉપરાંત ઘણીવાર કોડીનારની રાનાવાળા હોસ્પિટલ, ડોળાસાની સરકારી હોસ્પિટલ સહિત અનેક ખાનગી હોસ્પીટલોને ત્યાં સારવાર લેતા દર્દીઓને પણ ઓક્સિજન પહોંચાડવાનું કાર્ય કરે છે.
દર્દીઓનો જીવ બચાવવાના હેતુથી આ કાર્ય કરવામાં આવી રહ્યુ છે. યુવાનોના ગ્રુપ કહે છે કે, અમારા ગ્રુપના યુવાનો ખાલી થેયલી ઓક્સિજનની બોટલોમાં ફરી ઓક્સિજન ભરાવવા અને રીફીલીંગ માટે ભાવનગર મોકલી આપે છે. ત્યાંથી બોટલો પરત આવે એટલે જરૂરિયાતમંદ દર્દીઓને પહોંચાડવાનું સેવાકાર્ય દિવસ- રાત કરવામાં આવે છે.
