દહેગામમાં સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ ખખડધજ બનતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, તો બીજી તરફ બેદરકાર પાલિકા મુકબધિર બન્યું હોય તેમ સમારકામ પ્રત્યેની ઉદાસીનતા દાખવી રહ્યું છે. હાલ વાહન ચાલકો સહિત લોકો ઉબડખાબડ માર્ગો અને કિચડની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે.
ભારે વરસાદે દહેગામ નગરપાલિકાની પોલ ખોલી નાખી છે. જુદા જુદા વિસ્તારોમાં જળ ભરાવવાની સ્થિતિને લઈને માર્ગો તૂટી ગયા છે. દહેગામ નહેરુચોકડી થી ગાંઘીનગર જવાના ઔડાના માર્ગ પર અને દહેગામ થી નરોડા અમદાવાદ અને દહેગામ થી ચિલોડા ગાંધીનગર જવાનો અંડર બ્રીજ માં જ્યાં જુઓ ત્યાં ખાડા જ જોવા મળી રહ્યા છે, જેને લીધે અકસ્માતનો ભય લોકોમાં સતાવી રહ્યો છે.

દહેગામમાં મોટા ભાગના રસ્તાઓમાં પાણી ભરાવાની સ્થિતિ અને બિસ્માર માર્ગને કારણે કારણે લોકોની કમર ભાંગી ગઈ છે, તો વાહનો પણ ખખડી ગયા છે. ત્યારે દહેગામનો વહીવટ સાવ કથળી ગયો હોવાની ચાડી ખાય છે. જેને પગલે નગરપાલિકા સામે લોકોનો ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રસ્તાઓ પર હવે થીંગડા મરાશે. નવા રોડ તરફની આશા તો હવે ક્યાંથી હોય તેમ પ્રજાજનો માની રહ્યા છે. અથવા રીસર્ફેરીંગ કરાશે. જ્યારે રોડ બન્યો ત્યારે એક લેયર પાથરી જેમતેમ કામ પૂર્ણ કરી દેવાતાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી હોવાનું જાગૃત પ્રજાજનો કહી રહ્યા છે.
માર્ગો બિસ્માર બનતા જીવલેણ અકસ્માતને ખુલ્લું નિમંત્રણ!
છેલ્લા બે અઠવાડિયાથી વરસેલા સાર્વત્રિક વરસાદ વચ્ચે દહેગામ શહેરના વિવિધ મુખ્ય માર્ગો વરસાદમાં ધોવાઈને બિસ્માર બનતા વાહનચાલકો અને રાહદારીઓ સામે જીવલેણ અકસ્માતને ખુલ્લું નિમંત્રણ મળી રહ્યું છે. ગાંધીનગર જવાના માર્ગે તેમજ ઔડા તરફ જતો મુખ્ય માર્ગ ઠેર ઠેર ખાડાથી બિસ્માર બન્યો છે. આ સિવાય અન્ય વિસ્તારોમાં પણ રસ્તાઓ વરસાદમાં ધોવાઈ જતા બિસ્માર બન્યા છે. ઠેર ઠેર મુખ્ય માર્ગ ઉપર પડેલા મસમોટા ખાડા ખાડા, ટેકરાથી જીવલેણ અકસ્માતની ભીતી જોવા મળે છે. અમૃત દેસાઈ દહેગામ
