પાકિસ્તાનમાં મુસ્લિમ કટ્ટરપંથી સંગઠન તહરીક-એ-લબૈક (TLP) વડાપ્રધાન ઈમરાન ખાન અને સેના માટે માથાનો દુખાવો બની ગયો છે. પાકિસ્તાનના ઘણા શહેરોમાં TLPના હિંસક પ્રદર્શનોએ કરી રહ્યા છે જેના લીધે સ્થિતિ અતિ સ્ફોટક થઇ છે. પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી ઉસ્માન બુઝદારના જણાવ્યા અનુસાર TLP ગોળીબારમાં ઓછામાં ઓછા ચાર પોલીસકર્મીઓ માર્યા ગયા છે અને 250 અન્ય ઘાયલ થયા છે. તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે પાકિસ્તાની સેનાને પંજાબ પ્રાંતમાં આગામી 60 દિવસ માટે તૈનાત કરવામાં આવી છે.
બરેલવી સમુદાયનું આ કટ્ટરપંથી સંગઠન ઈસ્લામાબાદને ઘેરવા માટે બહાર આવ્યું છે. આ સંગઠનને ઈમરાન ખાન અને સેનાએ નવાઝ શરીફ સરકાર સામે ઉભા કર્યા હતા અને આજે તે બંને માટે ભસ્માસુર સમાન બની ગયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે પંજાબ પ્રાંતના ગુજરાંવાલા જિલ્લામાં બુધવારે ફાયરિંગની આ ઘટના બની હતી. TLP સમર્થકો દોડી આવ્યા હતા અને પોલીસકર્મીઓને માર માર્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે ઘાયલોમાં 70 પોલીસકર્મીઓ છે જેમાંથી 8 લોકોની હાલત ગંભીર છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે TLPના સભ્યો પોલીસકર્મીઓ પર હુમલો કરવા માટે મશીનગન, એકે-47 રાઈફલ અને પિસ્તોલનો ઉપયોગ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે આ કારણે પોલીસકર્મીઓના મોત થયા છે.
કટ્ટરપંથી સંગઠને દાવો કર્યો છે કે તેના ઘણા કાર્યકર માર્યા ગયા છે અનેક ઘાયલ થયા છે. આ પોલીસકર્મીઓ TLP લોકોને ઈસ્લામાબાદ જતા રોકી રહ્યા છે અને આ કારણે જ બંને વચ્ચે ગોળીબાર થયો હતો. પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રશીદે બુધવારે કહ્યું કે આગામી 60 દિવસ સુધી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પાકિસ્તાની સેનાને પંજાબમાં તૈનાત કરવાનો નિર્ણય લીધો છે.