તપાસ/ અમેરિકા જવાના સપનામાં વધુ 3 પરિવાર પણ લાપતા! જાણો સમગ્ર વિગત

 કેનેડાથી અમેરિકામાં જઈ રહેલા  અને ભારે ઠંડીમાં દર્દનાક મોત પામેલા ગુજરાતી પરિવાર અંગેની તપાસમાં વધુ ચોંકાવનારી વિગતો બહાર આવી છે

Top Stories Gujarat

કેનેડાથી અમેરિકામાં જઈ રહેલા  અને ભારે ઠંડીમાં દર્દનાક મોત પામેલા ગુજરાતી પરિવાર અંગેની તપાસમાં વધુ ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ મામલે પોલીસે સક્રીય તપાસ હાથ ધરી છે અને આ નેટવર્કના પર્દાફાશ કરવામાં લાગી ગઇ છે, આ મામલે  જવાબદાર શંકાસ્પદ સ્થાનિક એજન્ટે છેલ્લા 3 વર્ષમાં લગભગ 10 પરિવારોને કેનેડાની સરહદ દ્વારા યુએસ મોકલ્યા હતા. અને તેમાંથી ત્રણ પરિવારો ગુમ થયા હોવાની આશંકા છે. તેમણે અમેરિકા જવાની મુસાફરી શરુ કરી ત્યારબાદ ક્યારેય પોતાના ઘરે રહેલા અન્ય પરિવારજનોના સંપર્કમાં આવ્યા નથી.

રાજ્ય સીઆઈડી  દ્વારા જગદીશ પટેલ (35), તેમના પત્ની 33 વર્ષીય વૈશાલી અને તેમના બાળકો વિહંગા 12 અને ધાર્મિક, 3ના મૃત્યુની તપાસ શરૂ કરી દીધી છે. તેઓ ગાંધીનગરના કલોલ તાલુકાના નવા ડીંગુચા ગામના રહેવાસી હતા. વૈશ્વિક માનવ તસ્કરીના આ રેકેટમાં જે બહાર આવ્યું છે તે મુજબ આ ચારેય ભારતીયોના મોટા જૂથનો ભાગ હતા જેમને કેનેડાથી યુએસમાં તસ્કરી દ્વારા લઈ જવામાં આવી રહ્યા હતા. આ મોટું જૂથ યુએસ-કેનેડા સરહદ સુધી -35 ડિગ્રી જેવા વિષમ તાપમાનમાં 11 કલાકથી વધુ ચાલ્યું હતું. આ દરમિયાન જગદીશ પટેલ અને તેમનો પરિવાર રાત્રે કડકડતી ઠંડીમાં જૂથમાંથી અલગ થઈ ગયો હતો. તેમના મૃતદેહો યુએસ સરહદથી માંડ 10 મીટરના અંતરે કેનેડા તરફ મળી આવ્યા હતા.

એજન્ટ કે જેનું નામ પોલીસ દ્વારા હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી, તેણે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં આ પરિવારને કેનેડા મોકલ્યો હતો. “તે અગાઉ લોકોને શ્રીલંકા અને સિંગાપોર મોકલતો હતો. છેલ્લા ચાર વર્ષથી તેણે લોકોને કેનેડાની સરહદ દ્વારા યુએસ મોકલવાનું શરૂ કર્યું હતું, પોલીસ અધિકારીએ કહ્યું કે “એજન્ટ ટુરિસ્ટ વિઝા પર લોકોને થાઈલેન્ડ જેવા નાના દેશોમાં પાંચ દિવસથી એક અઠવાડિયા સુધી તેઓ ખરા અર્થમાં ટ્રાવેલર્સ છે તેવું પ્રસ્થાપિત કરવા માટે મોકલતો હતો. બાદમાં, તેમને ટુરિસ્ટ વિઝા પર કેનેડા મોકલતો હતો. જ્યાં ઉતર્યા પછી આ લોકોને દાણચોરી દ્વારા કાર કે વાનમાં અમેરિકા લઈ જવામાં આવતા હતા.”

લગભગ 3,600 લોકોની વસ્તી ધરાવતા નવા ડીંગુચાના રહેવાસીઓએ જણાવ્યું હતું કે એજન્ટે તેમના ગામ તેમજ નજીકના ગામડાઓમાંથી લગભગ 10 પરિવારોને કેનેડા મોકલ્યા હતા. “જોકે, ત્રણ પરિવારો ગુમ થઈ ગયા છે. અમને તેમના તરફથી કોઈ સંદેશો ક્યારેય મળ્યો નથી.” તેમ એક સ્થાનિક સ્ત્રોતે જણાવ્યું હતું