ટીમ ઈન્ડિયાનો બેટ્સમેન ચેતેશ્વર પુજારા કાઉન્ટી ચેમ્પિયનશિપ અને રોયલ લંડન વન-ડે સ્પર્ધામાં રમશે. પૂજારા સસેક્સ ટીમ સાથે સંકળાયેલો છે. તેમને ટ્રેવિસ હેડની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. હેડે વર્કલોડ મેનેજમેન્ટને કારણે તેને છોડી દીધું છે. પૂજારાને તાજેતરમાં તેના ખરાબ પ્રદર્શનને કારણે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી માટે તેમને ટીમમાં સામેલ કરવામાં આવ્યા ન હતો. પરંતુ સસેક્સ સાથેનું તેમનું જોડાણ રાહતના સમાચાર છે.
સસેક્સ સાથે પુજારાના જોડાણ પછી, ક્લબે તેના નિવેદનમાં કહ્યું કે તે ટૂંક સમયમાં ટીમ સાથે જોડાય તેવી અપેક્ષા છે. પુજારાને શ્રીલંકા સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો ન હતો. આ સાથે BCCIએ તેના કોન્ટ્રાક્ટના ગ્રેડમાં પણ ઘટાડો કર્યો છે. પૂજારા A+ થી B ગ્રેડમાં આવ્યો છે.
રસપ્રદ વાત એ છે કે ચેતેશ્વર પૂજારા ચોથી વખત કાઉન્ટી ટીમ સાથે સંકળાયેલા છે. તે અગાઉ 2014માં ડર્બીશાયર, 2015 અને 2018માં યોર્કશાયર, 2017માં નોટિંગહામશાયર તરફથી રમી ચૂક્યા છે. સસેક્સમાં જોડાયા બાદ પુજારાએ કહ્યું, “હું આ અંગે ખૂબ જ ઉત્સાહિત અને સન્માનિત અનુભવું છું, ટૂંક સમયમાં સસેક્સ પરિવારમાં જોડાઈશ. મેં ખરેખર યુકેમાં કાઉન્ટી ક્રિકેટનો આનંદ માણ્યો છે.
ટીમ ઈન્ડિયા જુલાઈમાં ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવાની છે. અહીં બંને ટીમો વચ્ચે T20 અને ODI શ્રેણી રમાશે. આ સાથે માત્ર એક ટેસ્ટ મેચ પણ રમાશે. પૂજારાને આ ટેસ્ટ મેચ માટે ભારતની ટેસ્ટ ટીમમાં જગ્યા મળી શકે છે. જો તે કાઉન્ટ ક્રિકેટમાં સારું રમે છે તો તેના માટે તક આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, 34 વર્ષીય પૂજારાને દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં ખરાબ પ્રદર્શન માટે ટીકાનો સામનો કરવો પડ્યો હતો.
