ગુજરાતમાં ગોધરાકાંડ દરમિયાન બિલ્કીસ બાનો ગેંગરેપ કેસમાં દોષિત ઠરેલા તમામ 11 દોષિત કેદીઓને સ્વતંત્રતા દિવસે મુક્ત કરવામાં આવ્યા છે. સોમવારે આ લોકો ગોધરા સબ જેલમાંથી બહાર આવ્યા હતા. ગુજરાત સરકારે તેની મુક્તિ નીતિ હેઠળ રિલીઝ કરવાની મંજૂરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 2002માં ગોધરાની ઘટના બની હતી. 3 માર્ચ 2002ના રોજ દાહોદ જિલ્લાના રણધિકપુર ગામમાં બિલ્કીસ બાનો પર સામૂહિક બળાત્કાર થયો હતો અને તેના પરિવારના સાત સભ્યોની હત્યા કરવામાં આવી હતી. જ્યારે ગુનો આચરવામાં આવ્યો ત્યારે બિલ્કીસ બાનો પાંચ મહિનાની ગર્ભવતી હતી. આ ઘટનાના આરોપીઓની 2004માં ધરપકડ કરવામાં આવી હતી.
અમદાવાદમાં ટ્રાયલ શરૂ થયો હતો. જો કે, બિલકીસ બાનોને ડર હતો કે સાક્ષીઓને નુકસાન થઈ શકે છે અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા એકત્રિત કરવામાં આવેલા પુરાવા સાથે છેડછાડ થઈ શકે છે. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટે ઓગસ્ટ 2004માં કેસને મુંબઈ ટ્રાન્સફર કર્યો હતો.
21 જાન્યુઆરી, 2008ના રોજ, મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે આ કેસમાં 11 આરોપીઓને દોષિત ઠેરવ્યા અને તેમને આજીવન કેદની સજા ફટકારી. બાદમાં બોમ્બે હાઈકોર્ટે તેમની સજા યથાવત રાખી હતી.
આ દોષિતોએ 18 વર્ષથી વધુ સમયની સજા ભોગવી હતી, ત્યારબાદ રાધેશ્યામ શાહીએ કલમ 432 અને 433 હેઠળ સજા માફ કરવા માટે ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. હાઈકોર્ટે અરજી ફગાવી દીધી હતી કે તેમની મુક્તિ અંગે નિર્ણય મહારાષ્ટ્ર સરકાર લઇ શકે છે. ગુજરાત સરકારે નહિ.
ત્યારપછી રાધેશ્યામ શાહીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી અને કહ્યું કે તે 1 એપ્રિલ, 2022 સુધી કોઈપણ છૂટ વિના 15 વર્ષ અને 4 મહિના જેલમાં રહ્યો. 13 મેના રોજ, SCએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ગુનો થયો હોવાથી, રાધેશ્યામ શાહીની અરજીની તપાસ કરવા માટે ગુજરાત રાજ્ય યોગ્ય સરકાર છે.
સર્વોચ્ચ અદાલતે ગુજરાત સરકારને 9 જુલાઈ, 1992ની નીતિ મુજબ અકાળે મુક્તિ માટેની અરજી પર વિચાર કરવાનો નિર્દેશ આપ્યો હતો અને કહ્યું હતું કે બે મહિનામાં નિર્ણય લઈ શકાય છે.
પંચમહાલના કલેક્ટર સુજલ માયત્રાએ જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલતે ગુજરાત સરકારને તેમની સજા માફ કરવાના મુદ્દા પર ધ્યાન આપવાનો નિર્દેશ આપ્યો હતો, ત્યારબાદ સરકારે એક સમિતિની રચના કરી હતી. આ પેનલનું નેતૃત્વ કલેક્ટર કરે છે.
કલેક્ટરે જણાવ્યું હતું કે સમિતિએ ઘટનાના તમામ 11 દોષિતોને મુક્ત કરવાની તરફેણમાં સર્વસંમતિથી નિર્ણય લીધો હતો. ભલામણ રાજ્ય સરકારને મોકલવામાં આવી હતી અને ગઈકાલે અમને તેમની મુક્તિના આદેશો મળ્યા હતા.
આ દોષિતોને સમય પહેલા મુક્ત કરવામાં આવ્યા
1). રાધેશ્યામ શાહી
2). જસવંત ચતુરભાઈ વાળંદ
3). કેશુભાઈ વાડાણીયા
4). બકાભાઈ વડાણીયા
5). રાજીવભાઈ સોની
6). રમેશભાઈ ચૌહાણ
7) શૈલેષભાઈ ભટ્ટ
8). બિપિનચંદ્ર જોષી
9). ગોવિંદભાઈ વાળંદ
10). મિતેશ ભટ્ટ
11). પ્રદીપ મોઢિયા
