ચોમાસા બાદ રાજ્યમાં પાણીજન્ય રોગમાં વધારો થયો છે. ડેન્ગ્યુ, મેલેરિયા જેવા કેસથી રાજ્યની હોસ્પિટલો ઉભરાઈ રહી છે. ત્યારે રાજકોટમાં ડેન્ગ્યુના કેસમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં ડેગ્યુના 17 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં સિઝનના 104 કેસ નોંધાયા છે. રેપીડ ટેસ્ટ માન્ય ન હોવાથી આંકડામાં વિસંગતા જોવા મળી રહી છે. જીલ્લામાં ડેન્ગ્યુના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.
રાજકોટ શહેરમાં પાણીજન્ય રોગોએ માથું ઊંચક્યું છે. છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના 17 કેસ, મેલેરીયા 2 કેસ, ચિકનગુનિયા 2 કેસ, શરદી ઉધરસ નબળાઈના 253 કેસ, તાવના 49 કેસ તેમજ ઝાડા ઉલટીના 87 કેસ નોંધાયા છે.
કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરની અલગ-અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાંથી ડેન્ગ્યું, મેલેરિયા, તાવ અને શરદી ઉધરસના કેસના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા.
જીલ્લામાં મચ્છરજન્ય રોગોમાં વધારો નોધાતા આરોગ્ય ખાતું સક્રિય બન્યું છે. અને રોગચાળો નાથવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. રોગચાળાને નાથવા માટે 90,252 ઘરોમાં પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે 2123 ઘરોમાં ફોગીંગની કામગીરી કરવામાં આવી હતી. મચ્છરોની ઉત્પતિ સબબ 536 સ્થળે ચેકીંગ હાથ ધરાયું હતું. દરમિયાન રહેણાંક વિસ્તારોમાં 787 સ્થળોએ મચ્છરોની ઉત્પતિ જણાતા તમામને નોટિસ ફટકારવામાં આવી છે.
Science / પૃથ્વી બચાવવાનું પરીક્ષણ સફળ, નાસાનું અવકાશયાન એસ્ટરોઇડ સાથે અથડાયું
