Maharashtra/ શિવસેના અને ભાજપમાં તિરાડના સંકેત, CMના પુત્ર શ્રીકાંત શિંદેએ રાજીનામું આપવાની કરી પેશકશ

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ઉથલપાથલ જોવા મળી છે. આ ક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને ભાજપ વચ્ચે તિરાડના સંકેત મળ્યા છે

Top Stories India

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ઉથલપાથલ જોવા મળી છે. આ ક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને ભાજપ વચ્ચે તિરાડના સંકેત મળ્યા છે. સીએમ એકનાથ શિંદેના પુત્ર અને સાંસદ શ્રીકાંત શિંદેએ તેમના પદ પરથી રાજીનામું આપવાની ઓફર કરી છે. તે ઘણા મુદ્દાઓ પર નારાજ હોવાનું કહેવાય છે.

ગુરુવારે  ડોમ્બિવલીમાં બીજેપી અધિકારીઓની એક બેઠક યોજાઈ હતી જેમાં શિવસેનાનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના કારણે શ્રીકાંત શિંદે પરેશાન છે. હકીકતમાં, ભાજપના કાર્યકર્તા નંદુ જોશી વિરુદ્ધ એક મહિલાની છેડતી કરવા બદલ FIR નોંધવામાં આવી છે. આ અંગે નંદુ જોશી અને ઘણા કાર્યકરોએ આરોપ લગાવ્યો કે ડોમ્બિવલી માનપાડા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવા પાછળ શિવસેનાનો હાથ છે.

બીજી તરફ, બુધવારે ડોમ્બિવલીમાં રાજ્યકક્ષાના મંત્રી રવિન્દ્ર ચૌહાણના નેતૃત્વમાં ભાજપના અધિકારીઓની બેઠક યોજાઈ હતી, જેમાં શિવસેનાને અલગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સિવાય બીજુ કારણ એ પણ જણાવવામાં આવી રહ્યું છે કે ભાજપે ગુરુવારે લોકસભા ચૂંટણીમાં 48 સીટો માટે પ્રભારીઓના નામની જાહેરાત કરી દીધી છે. મહારાષ્ટ્રમાં ભાજપે ગુરુવારે (08 જૂન) રાજ્યની 48 લોકસભા બેઠકો અને 288 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી પ્રમુખોની જાહેરાત કરી. આ અંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ જણાવ્યું હતું કે શિવસેના સાથે ગઠબંધન કરીને મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ચૂંટણી લડવામાં આવશે.