ગુજરાત/ ન્યાયને અવેલેબલ, એકસિસીબલ અને એફોર્ડેબલ બનાવવા માટે કેન્દ્ર સરકાર કાર્યરતઃઅમિત શાહ

અમિત શાહે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી(NFSU)ના ગાંધીનગર સ્થિત કેમ્પસ ખાતેથી NFSU તેમજ ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રિમિનોલોજી દ્વારા આયોજિત પાંચમા આંતરરાષ્ટ્રીય અને ૪૪માં અખિલ ભારતીય અપરાધ વિજ્ઞાન સંમેલન અને ‘સ્ટેટ ઓફ ધ આર્ટ સેન્ટર ઓફ એક્સેલંસ ઈન ડિજિટલ ફોરેન્સિકસ‘નો શુભારંભ કરાવ્યો

Gujarat

ગાંધીનગર લોકસભા ક્ષેત્ર મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના  સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી(NFSU)ના ગાંધીનગર સ્થિત કેમ્પસ ખાતેથી NFSU તેમજ ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રિમિનોલોજી દ્વારા આયોજિત પાંચમા આંતરરાષ્ટ્રીય અને ૪૪માં અખિલ ભારતીય અપરાધ વિજ્ઞાન સંમેલન અને ‘સ્ટેટ ઓફ ધ આર્ટ સેન્ટર ઓફ એક્સેલંસ ઈન ડિજિટલ ફોરેન્સિકસ‘નો શુભારંભ કરાવ્યો હતો. આ તકે જસ્ટિસ અરુણકુમાર મિશ્રા, રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલ,  હર્ષ સંઘવી, કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લા, NFSU ના વાઇસ ચાન્સેલર પદ્મશ્રી જે. એમ. વ્યાસ, આમંત્રિત મહેમાનો, સબંધિત અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતાં.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે આ તકે સંબોધન કરતા જણાવ્યું હતું કે, સુખદ સંયોગ છે કે જ્યારે ભારતની ક્રિમીનલ જસ્ટિસ સિસ્ટમ તેના નવા યુગમાં પ્રવેશ કરી રહી છે તેવા સમયે આજે અહીં પાંચમા આંતરરાષ્ટ્રીય અને ૪૪માં અખિલ ભારતીય અપરાધ વિજ્ઞાન સંમેલનનો પ્રારંભ કર્યો છે. ભારત ૧૫૦ વર્ષ જૂના અને અંગ્રેજોની ગુલામીના પ્રતીકસમા IPC, CRPC અને ઍવિડેન્સ એકટને સ્ક્રેપ કરી ભારતીય ન્યાયસંહિતા, ભારતીય સુરક્ષા અને સાક્ષ્ય સંહિતાને દેશ સમક્ષ મૂકી છે. આ ત્રણેય નવા ક્રિમીનલ કાયદાના બહુમુખી મુદ્દાઓ આજની આ કોન્ફરન્સ સાથે સંકળાયેલા છે. સમય પર ન્યાય મળે, સજાનો દર વધારી અપરાધો પર લગામ કસવા, ઇન્વેસ્ટીગેશનને સરળ બનાવવા ટેકનોલોજીની સ્વીકૃતિ સાથે કાનૂની વ્યવસ્થા વધુ મજબૂત કરવા કેન્દ્ર સરકાર પગલાં લઈ રહી છે. બાળકો અને મહિલાઓ સાથે અપરાધ થી મોટો કોઈ અપરાધ નથી માટે નવા ક્રિમીનલ લો માં બાળકો અને મહિલાઓ સાથે સંકળાયેલા ગુનાના ઉલ્લેખને પ્રાથમિકતા અપાઈ છે.

 શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ન્યાય પ્રક્રિયાને આધુનિક અને અસરકારક બનાવવા સતત પ્રયત્નશીલ છે. આગામી પાંચ વર્ષ પછી ભારતની અપરાધિક ન્યાય પ્રણાલી વિશ્વની સૌથી આધુનિક ક્રિમીનલ જસ્ટિસ સિસ્ટમ હશે તેવો મને સંપૂર્ણ વિશ્વાસ છે, આ બાબતે કોઈ શંકાને સ્થાન નથી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશમાં અનેક યુગ પરિવર્તનકારી કાર્યો થયા છે, વિવિધ ક્ષેત્રે અનેક ઐતિહાસિક કાર્યો થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશમાં ૪૦ વર્ષ બાદ પૂર્ણત: ભારતીય બુનિયાદ પર નવી શિક્ષાનીતિ, ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનું નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી બનવું અને ૧૫૦ વર્ષ પછી દેશના ક્રિમીનલ જસ્ટિસ લો માં આમુલચૂર પરિવર્તન થી એટલે કે શિક્ષણ, ફોરેન્સિક સાયન્સ અને ક્રિમીનલ જસ્ટિસ સિસ્ટમના નવા આયામોના સમન્વયથી ન્યાય પ્રક્રિયામાં મોટું પરિવર્તન આવી શકે છે.

 શાહે જણાવ્યું હતું કે, ૭ વર્ષ કે તેથી વધુ સજાના ગુનામાં પ્રત્યેક ક્રાઇમ સીન પર ફોરેન્સિક અધિકારી દ્વારા તપાસના કેન્દ્ર સરકારના લક્ષ્યને પહોંચી વળવા હ્યુમન રીસોર્સની આવશ્યકતા રહે છે. ખુબ ટૂંકા ગાળામાં NFSU ના નવ કેમ્પસ આજે ગાંધીનગર, દિલ્હી, ગોવા, ત્રિપુરા, ભોપાલ, પુના, ગુવાહાટી, મણિપુર અને ધારવાડ ખાતે કાર્યરત થઇ ચુક્યા છે, આગામી સમયમાં બીજા ૯ રાજ્યોમાં NFSU નો વ્યાપ વધવાનો છે, તેમજ યુગાન્ડામાં પણ NFSU કેમ્પસ કાર્યરત છે. ૫ વર્ષ પછી દર વર્ષે ૯ હજાર થી વધુ ફોરિન્સિક સાયન્સ એક્સપર્ટ દેશને મળશે.

 શાહે જણાવ્યું હતું કે, ફોરેન્સિક બીહેવીયરલ સાયન્સ ઉભરતું ક્ષેત્ર છે, અપરાધ રોકવા માટે જેટલી ભૂમિકા કઠોર પ્રશાસન અને સારા ન્યાયતંત્રની છે તેટલી જ બીહેવીયરલ સાયન્સની છે. વ્યક્તિની સાયકોલોજી અને વર્તનને સમજી ફોરેન્સિક સાયન્સ દ્વારા અપાયેલા તારણોને શિક્ષામાં સમાવી તેના સ્ટ્રેટેજીકલ ઉપયોગ થકી ક્રિમિનલ માઈન્ડ બિહેવિયર નું અધ્યયન કર પ્રાથમિક શિક્ષણ સમય થી જ જો આ બાબત પર ધ્યાન આપવામાં આવે તો અનેક વ્યક્તિઓને ગુનેગાર બનતા રોકી શકાય છે. આજની કોન્ફરન્સ પ્રિવેંટીવ, પ્રોડકટિવ અને પ્રોટેક્ટિંગ પોલિસીંગની દિશામાં મહત્વનું આયોજન છે.

શાહે જણાવ્યું હતું કે, ભારત અમૃતકાળમાં પ્રવેશ કરી ચુક્યો છે, ભારતીય લોકતંત્રની નીવ પાતાળ કરતા પણ ઊંડી છે, લોકતંત્રના માધ્યમથી દેશમાં અનેક વખત લોહીની એક બુંદ રેડ્યા વગર સત્તા પરિવર્તન થયું છે. લોકતંત્ર માટે ભારતીય જનમાનસની દુનિયામાં કોઈ સવાલ કરી શકે તેમ નથી, લોકતંત્ર ભારતની રગોમાં છે તે દુનિયાએ જોયું છે. ૨૦૪૭ માં દેશની આઝાદીને ૧૦૦ વર્ષ પૂર્ણ થાય ત્યારે સમાજ જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં ભારત સર્વ પ્રથમ હોય તેવો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ૧૪૦ કરોડ ભારતીયોનો સંકલ્પ છે. દેશ આજે આર્થિક, સામાજિક, કાયદો વ્યવસ્થા, આંતરિક સુરક્ષા સહિતના ક્ષેત્રે મજબૂતાઈ સાથે આગળ વધી રહ્યો છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશને તમામ ક્ષેત્રે નંબર એક બનાવવાનો સંકલ્પ કર્યો છે તેમાં ફોરેન્સિક સાયન્સનો પણ સમાવેશ થાય છે.

શાહે જણાવ્યું હતું કે, ક્રાઇમના ફોર્મ, મોડ અને મેથડ બદલાઈ રહ્યા છે ત્યારે ન્યાયને અવેલેબલ, એકસિસીબલ અને એફોર્ડેબલ બનાવવા માટે કેન્દ્ર સરકાર કાર્યરત છે. અપરાધ અને અપરાધીઓથી પોલીસને ૨ જનરેશન આગળ રહેવાની જરૂરિયાત છે ત્યારે ટેકનોલોજી અને ફોરેન્સિક સાયન્સના ઇંટીગ્રેશનથી આ શક્ય બનશે. અત્યાર સુધી દેશમાં ૮ કરોડથી વધુ eFIR રજિસ્ટર્ડ થઈ છે. દેશના ૭ પોલીસ સ્ટેશનને બાદ કરતાં પ્રત્યેક પોલીસ સ્ટેશન કમ્પ્યુટરથી જોડાયા છે. e-કોર્ટ માં ૧૫ કરોડથી વધુ પ્રોસિક્યુશનનો ડેટા, e- ફોરેન્સિકથી ૧૯ લાખ ફોરેન્સિક રિઝલ્ટને ઓનલાઇન સ્ટોર કરાયા છે.

શાહે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પદ્મશ્રી જે. એમ. વ્યાસને દેશના સૌથી લાંબા સમય સુધી ફોરેન્સિક સાઇન્ટીસ્ટ તરીકે ૫૦ વર્ષની સેવા કરવા પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીનું વિઝન હતું કે, યોગ્ય ઇન્વેસ્ટિગેશન અને ઝડપી ન્યાય અપાવવા ફોરેન્સિક સાયન્સનો ઉપયોગ થાય અને તેમની આ વાતને જે. એમ. વ્યાસે સાચા અર્થમાં ચરિતાર્થ કરી છે. તેઓ આજે સફળતાપૂર્વક NFSUનું સંચાલન કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં જસ્ટિસ અરુણકુમાર મિશ્રા, રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.