દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવાની અરજી સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. કોર્ટના આદેશ મુજબ કેજરીવાલે 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે. જો કે, સુપ્રીમ કોર્ટે કેજરીવાલને નિયમિત જામીન અથવા અન્ય કોઈ રાહત માટે નીચલી કોર્ટનો સંપર્ક કરવાની સ્વતંત્રતા આપી છે.
અરવિંદ કેજરીવાલનું કહેવું છે કે તેમનું વજન અચાનક છથી સાત કિલોગ્રામ ઘટી ગયું છે. આ કારણોસર, ઘણા પરીક્ષણો કરવા માટે, વચગાળાના જામીનનો સમયગાળો વધુ સાત દિવસ વધારવા માટે સુપ્રીમ કોર્ટમાં માંગ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે કેજરીવાલનું વજન અચાનક જ નોંધપાત્ર રીતે ઘટી ગયું છે. ઉપરાંત, તેમનું કીટોન સ્તર ખૂબ ઊંચું છે, જેના ગંભીર પરિણામો આવી શકે છે. તે ગંભીર કિડની રોગ, હૃદય રોગ અને કેન્સરનું પણ સંભવિત સૂચક છે.
આમ આદમી પાર્ટી દેશભરમાં ઘણી સીટો પર લોકસભાની ચૂંટણી લડી રહી છે. તેથી, દિલ્હીની દારૂની નીતિ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જેલમાં રહેલા અરવિંદ કેજરીવાલે ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન માંગ્યા હતા. આ પછી, 10 મેના રોજ, સુપ્રીમ કોર્ટે કેજરીવાલને 1 જૂન સુધી એટલે કે 21 દિવસ પ્રચાર માટે વચગાળાના જામીન આપ્યા હતા, જે મુજબ તેમને 2 જૂને જેલમાં પાછા ફરવું પડશે.
સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે અરવિંદ કેજરીવાલે 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે. તેના એક દિવસ પહેલા એટલે કે 1 જૂને લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કા માટે મતદાન થવાનું છે. આ પછી 4 જૂને મતગણતરી થવાની છે.
તમને જણાવી દઈએ કે કેજરીવાલ સામેનો કેસ 2021-22 માટે દિલ્હી સરકારની એક્સાઈઝ પોલિસી બનાવવા અને લાગુ કરવામાં કથિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ સાથે સંબંધિત છે. જો કે આ પોલીસી હવે રદ કરવામાં આવી છે, પરંતુ ભ્રષ્ટાચાર સંબંધિત કેસ ચાલી રહ્યો છે.
આ પણ વાંચો:કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરના વધુ એક નિવેદન પર મચ્યો હંગામો, ભાજપે કર્યા પ્રહાર
આ પણ વાંચો:48 ડિગ્રી, 48 કલાક, 21 લોકોના મોત,કોટામાં આકાશમાંથી વરસી રહી છે આગ
